જામનગરમાં કાલાવડના નવાગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જતાં કરુણ મૃત્યુ
image : Freepik
જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકીનું રમતાં રમતાં પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતા પરસોત્તમભાઈ લાલજીભાઈ અકબરી નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાહુલભાઈ રામસિંહભાઈ ખરાડી નામના શ્રમિકની ત્રણ વર્ષની પુત્રી રીતીકા કે જે ગઈકાલે રમતાં રમતાં અકસ્માતે પાણીની કુંડીમાં પડી ગઈ હતી, અને ડૂબી જવાના કારણે તેણીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા રાહુલભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.