જામનગરમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા યુવાનની 25,000 ની રોકડ રકમ સેરવી લેવાઇ
- રીક્ષા ચાલક તને તેના સાગરીતોએ રોકડ રકમ સેરવી લીધાની પોલીસ ફરિયાદ
જામનગર,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર
જામનગરમાં જકાતનાકા વિસ્તારમાંથી એક રીક્ષામાં બેઠેલા મુસાફરની રૂપિયા 25,000 ની રોકડ રકમ સેરવી લેવામાં આવી છે, જે મામલે રીક્ષા ચાલક અને તેના સાગરીત સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ રામનગર શેરી નંબર ત્રણ માં રહેતા પ્રવીણભાઈ રણછોડભાઈ જીલકા (ઉમર વર્ષ 43) કે જે તા.26-10-2023ના દિવસે જકાતનાકા થી મેલડી માતાના ઢાળિયા વચ્ચે એક રિક્ષામાં બેઠા હતા, તે રીક્ષાની મુસાફરી દરમિયાન રીક્ષાચાલક અથવા તો તેની સાથે અંદર બેઠેલા અન્ય મુસાફરોએ ગિરદી કરીને ખિસ્સામાંથી રૂપિયા 25,000 ની રોકડ રકમ સેરવી લીધી હતી. રીક્ષામાંથી ઉતર્યા પછી પોતાના ખિસ્સા ચેક કરતાં ઉપરોક્ત રકમ ગાયબ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી પ્રવીણભાઈએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક અને તેના સાગરીતો સામે રૂપિયા 25 હજારની રોકડ રકમની ઉઠાંતરી કરી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.