જામનગરમાં 22 વર્ષના પશુ ચિકિત્સકનું હાર્ટ એટેકથી મૃત્યુ, વાડીમાં ભેંસની સારવાર દરમિયાન અચાનક જ ઢળી પડ્યા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં 22 વર્ષના પશુ ચિકિત્સકનું હાર્ટ એટેકથી મૃત્યુ, વાડીમાં ભેંસની સારવાર દરમિયાન અચાનક જ ઢળી પડ્યા 1 - image

image : Socialmedia

Jamnagar Heart Attack : જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા બાવીસ વર્ષીય પશુ ચિકિત્સક કે જેઓનું ગઈકાલે એકાએક હૃદય થંભી જતાં ભારે ગમગીની છવાઈ છે. એક વાડીમાં ભેંસની સારવાર માટે ગયા હતા, દરમિયાન એકાએક ચક્કર આવ્યા પછી બેશુદ્ધ બનીને ઢળી પડ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવાતાં તેઓનું હૃદય બંધ પડી ગયું હોવાનું જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના અલિયા ગામમાં જૈન દેરાસર સામે રહેતા બાવીસ વર્ષની વયના પશુ ચિકિત્સક રિધમભાઈ રમેશભાઈ કાસુન્દ્રા કે જે ગઈકાલે અલીયા ગામના રવિભાઈ કાસુન્દ્રાની વાડીમાં એક ભેંસની સારવાર કરવા માટે ગયા હતા, જ્યાં તેઓને અચાનક ચક્કર આવતાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેથી તેઓને તાબડતોબ જાબુંડા ગામની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું, જેથી ભારે ગમગીની છવાઈ હતી.

આ બનાવ અંગે મૃતક પશુ ચિકિત્સકના પિતા રમેશભાઈ મોહનભાઈ કાસુન્દ્રાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે તેમજ જાંબુડાની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને પશુ ચીકિત્સકના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.  આ બનાવને લઈને નાના એવા અલિયા ગામમાં ભારે ગમગીની સાથે સોંપો પડી ગયો છે.


Google NewsGoogle News