શી જિનપિંગ તમે તો દુનિયા પરથી ચાલ્યા જશો પરંતુ દલાઈ લામાનો જ્ઞાાન અને કરુણાનો સંદેશો અનંત વહેતો રહેશે

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
શી જિનપિંગ તમે તો દુનિયા પરથી ચાલ્યા જશો પરંતુ દલાઈ લામાનો જ્ઞાાન અને કરુણાનો સંદેશો અનંત વહેતો રહેશે 1 - image


- અમેરિકાનાં પૂર્વ સ્પીકર પેલોસીના અંતરના ઉદ્ગારો

- જોકે દલાઈ લામા કોઈની પણ સાથે સંઘર્ષ ઈચ્છતા નથી : ચીન પ્રત્યે પણ શત્રુતાય નહીં પરંતુ કલ્યાણ જ ઈચ્છે છે

ધર્મશાળા : અમેરિકાની સંસદનાં પૂર્વ અધ્યક્ષ નેન્સી પેલોસી ભારતની યાત્રાએ આવ્યાં છે. તેઓ હિમાચલ પ્રદેશનાં 'ધર્મશાળા' પણ ગયા હતા જ્યાં તેઓએ હીઝ હોલિનેસ દલાઈ લામાની સુદીર્ઘ મુલાકાત લીધી હતી. તે પછી કરેલા એક જાહેર વક્તવ્યમાં ચીનના માંધાતા શી-જિનપિંગ ઉપર રીતસર તૂટી જ પડયાં હતાં. તેઓએ કહી દીધું, 'શી-જિનપિંગ તમે તો આ દુનિયા પરથી વિદાય લેશો, પરંતુ દલાઈ લામાનો જ્ઞાન અને કરુણાનો સંદેશો સતત વહેતો રહેશે. હીઝ હોલિનેસ તેઓના જ્ઞાન, કરુણા, આત્મશુદ્ધિ અને પ્રેમ તથા જીવંત પ્રણાલીના સંદેશા સાથે અમર બની રહેશે.' પરંતુ તમે ચીનના પ્રમુખ વિશ્વ પરથી વિદાય લેશો અને કોઈ પણ તમોને કશા માટે પણ યાદ નહીં કરે.

દલાઈ લામાને મળવા માટે નેન્સી પેલોસીનાં નેતૃત્વની અમેરિકાની સંસદના બંને પક્ષોના સભ્યોનું બનેલું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. દલાઈ લામાને મળ્યા પછી પેલોસીએ કહ્યું હતું કે, હીઝ હોલિનેસ ચીનની પણ ટીકાને પુષ્ટિ આપતા નથી. મને તેઓએ કહ્યું, સર્વેને ભગવાન બુદ્ધ સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના. પ્રાર્થના કરીએ. મન અને આત્માને શુદ્ધ કરીએ.

દરમિયાન અમેરિકાનાં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીઝે તિબેટ-ચીન વિવાદના ઉકેલ માટે એક વિધેયક પસાર કર્યું હતું. જે સેનેટે પણ પસાર કર્યું છે. હવે આ વિધેયક ઉપર પ્રમુખ હસ્તાક્ષર કરે એટલે તે કાનૂન બની જશે. તે કાનૂન 'તિબેટ-ચાયના-ડીસ્પ્યુટ-એક્ટ' તરીકે કહેવાશે. આ કાનૂનને લીધે હવે તિબેટ અંગે ચીન જે ગેરસમજ ફેલાવે છે, તેનો સામનો કરવા માટે ફંડ, સત્તાવાર રીતે ઉઘરાવી શકાશે. ચીન તિબેટના ઈતિહાસ જનતા અને સંસ્થાઓ અંગે ચીન જે દુષ્પ્રચાર કરે છે તેનો સામનો કરવામાં આવશે.

અમેરિકાનાં પ્રતિનિધિ મંડળે દલાઈ લામાની લીધેલી મુલાકાત અંગે યોજેલી ખાસ પત્રકાર પરિષદમાં ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન-જિયાંગે કહ્યું હતું કે, 'આ ૧૪મા દલાઈ લામા કંઈ શુદ્ધ ધાર્મિક નેતા નથી. પરંતુ એક રાજકીય ભાગેડું છે, જે ધર્મના આંચળા નીચે ચીન વિરોધી વિભાજનવાદી કાર્યવાહી કરી રહ્યાં છે.' તાજેતરમાં તે સંબંધે પ્રસિદ્ધ થયેલા અહેવાલોથી અમે ઘણાં જ ઉદ્વિગ્ન છીએ. અને અમેરિકાને ચીન વિરોધી વિભાજનકારી પ્રવૃત્તિઓ જે દલાઈ લામાનું જૂથ ચલાવી રહ્યું છે, તેની સાથે કોઈપણ પ્રકારે રખાતો સંબંધ ખોટા સંકેતો આપે છે.

સાથે ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રમુખ બાયડેનને 'શી-ઝાંગ' સંબંધી કોઈ પણ વિધેયક ઉપર હસ્તાક્ષર નહીં કરવા અનુરોધ કર્યો હતો.

ચીન તિબેટને 'શી-ઝાંગ' કહે છે.


Google NewsGoogle News