20 વર્ષમાં વસ્તી થઈ ડબલ, ભારતથી વધુ શીખ સાંસદો, જાણો કેનેડામાં શા માટે તેનો છે ભયંકર દબદબો
India Canada News Updates: નિજ્જર હત્યાકાંડને લઈને જસ્ટિન ટ્રુડોની ટિપ્પણી બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ટ્રુડોએ આક્ષેપ કર્યો હતો કે નિજ્જર હત્યાકાંડમાં ભારતનો હાથ હતો, જેને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. ચાલો જાણીએ કે કેનેડામાં શીખોનો આટલો પ્રભાવ કેમ છે કે કેનેડાના પ્રધાનમંત્રી એક આતંકવાદીની હત્યાને લઈને ભારત સાથેના સંબંધો બગાડવા પર તત્પર છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ લાવેલા આરોપના કારણે બંને દેશ વચ્ચેના કુટનીતિક તણાવ ચરમ પર છે.
આ સિવાય ભારત દ્વારા કેનેડાના નાગરિકો માટે ભારતીય વિઝા સેવાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. ભારતે ટ્રુડો સરકારને નવી દિલ્હીમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા પણ કહ્યું હતું. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કેનેડામાં શીખોનો આટલો પ્રભાવ શા માટે છે, કેનેડાના પીએમ ટ્રુડો એક આતંકવાદીને કારણે ભારત સાથેના સંબંધો બગાડવા પર તત્પર છે.
આ પહેલીવાર નથી કે જ્યારે બંને દેશો ખાલિસ્તાની આતંકવાદીને માટે એકબીજાની આમને સામને આવ્યા હોય. આ પહેલા પણ કેનેડા ઘણી વખત ખાલિસ્તાનીઓનો બચાવ કરી ચૂક્યું છે. 1982માં જસ્ટિન ટ્રુડોના પિતા અને કેનેડાના તત્કાલિન વડાપ્રધાન પિયર ટ્રુડોએ ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવેલી ખાલિસ્તાની આતંકવાદી તલવિંદર સિંહ પરમારના પ્રત્યાર્પણની (extradition) વિનંતીને ફગાવી દીધી હતી.
કેનેડામાં શીખોની વસ્તી
2021ની વસ્તી ગણતરી મુજબ કેનેડાની કુલ વસ્તી 3 કરોડ 70 લાખ છે. કુલ વસ્તીના 4 ટકા એટલે કે લગભગ 16 લાખ કેનેડિયનો ભારતીય મૂળના છે. તેમજ, લગભગ 7 લાખ 70 હજાર ફક્ત શીખ છે. આમાં નોંધનીય બાબત એ છે કે કેનેડામાં શીખોની વસ્તી છેલ્લા 20 વર્ષમાં બમણી થઈ ગઈ છે. આમાંના મોટાભાગના શીખ પંજાબમાંથી સ્થળાંતરિત થયા છે, જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ મેળવવાનો અથવા તો નોકરી કરવાનો હતો.
કેનેડામાં શીખોનું વર્ચસ્વ કેટલું?
કેનેડામાં શીખોની વસ્તી ખુબ ઝડપથી વધી રહી છે. ખ્રિસ્તી, મુસ્લિમ અને હિંદુ બાદ કેનેડાનો ચોથો સૌથી મોટો ધાર્મિક સમુદાય શીખ છે. આ ઉપરાંત અંગ્રેજી અને ફ્રેંચ બાદ પંજાબી કેનેડામાં ત્રીજી સૌથી લોકપ્રિય ભાષા છે. કેનેડામાં સૌથી વધુ શીખ ઓંટારિયો, બ્રિટીશ કોલમ્બિયા અને આલ્બર્ટામાં રહે છે. કેનેડાના નિર્માણ, પરિવહન અને બેન્કિંગ ક્ષેત્રમાં શીખોનું ખુબ મોટું યોગદાન રહ્યું છે.
આ સિવાય લગભગ 4.15 લાખ શીખો પાસે રહેવા માટે ઘરનું ઘર છે. જ્યારે 1980 સુધી માત્ર 35 હજાર શીખો પાસે કેનેડામાં રહેવા માટે કાયમી ઘર હતું. તે જ સમયે, લગભગ 1.19 લાખ શીખો કેનેડામાં કાયમી ઘર વિના રહે છે. 2015માં જ્યારે જસ્ટિન ટ્રુડો પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે પોતાની કેબિનેટમાં શીખ સમુદાયમાંથી ચાર મંત્રીઓની પસંદગી કરી હતી. જે કેન્દ્રીય સ્તરે શીખ સમુદાયનું અત્યાર સુધીનું સૌથી વધુ પ્રતિનિધિત્વ હતું.
શા માટે કેનેડામાં શીખોનું વધુ વર્ચસ્વ?
રાજકીય નિષ્ણાતો અનુસાર કેનેડામાં શીખ સમુદાયના વર્ચસ્વનું એક મુખ્ય કારણ ગુરુદ્વારા દ્વારા તેમનું મજબૂત નેટવર્કિંગ છે. તેઓ શીખ ફંડના રૂપમાં ગ્રાન્ટ હેઠળ નાણાં એકત્રિત કરે છે. આ ફંડનો મોટો ભાગ ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરવામાં આવે છે. હાલમાં કેનેડામાં 388 સાંસદોમાંથી 18 શીખ છે. તેમાંથી 8 બેઠકો પર સંપૂર્ણ રીતે શીખોનું પ્રભુત્વ છે. આ સિવાય 15 અન્ય સીટો પર શીખોની મહત્વની ભૂમિકા છે. આ જ કારણ છે કે કોઈપણ રાજકીય પક્ષ આ સમુદાયને નારાજ કરવા માંગતો નથી.
નિષ્ણાંતોનું માનવાનું છે કે ભારત તરફથી વારંવાર આ મુદ્દો ઉઠાવવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવાના બદલે ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપવું એ તેમની શીખ વોટ પરની નિર્ભરતા છે. 2018માં કેનેડાની એક ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ખાલિસ્તાનીઓને દેશના ટોચના પાંચ આતંકવાદીઓ તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. પરંતુ ટ્રુડો સરકારમાં શીખ સમુદાયના નેતાઓએ એટલી ગંભીર પ્રતિક્રિયા આપી કે સરકારે પાછળથી ખાલિસ્તાની આતંકવાદના તેમના પર લાગેલા આરોપો હટાવી દેવામાં આવ્યા. જેના પરથી કેનેડામાં શીખોના રાજકીય પ્રભાવનો અંદાજ લગાવી શકાય છે.
ખાલિસ્તાન સમર્થકો ટ્રુડો સરકારમાં સહયોગી
ખાલિસ્તાની સમર્થક અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહની પાર્ટી પણ ટુડો સરકારના ગઠબંધન ભાગીદાર છે. જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જોખમ નથી લેતા તેનું એક કારણ આ પણ છે. જગમીત સિંહનો જન્મ 1979માં કેનેડાના ઓંટારિયો પ્રાંતમાં પંજાબી પરિવારમાં થયો હતો. જયારે ટ્રુડોની પાર્ટી 2019માં બહુમત ન મેળવી શકી ત્યારે જગમીત સિંહ કિંગમેકર બન્યા હતા.
ઓછી વસ્તી અને ઓછી સીટ હોવા છતાં ભારત કરતા વધુ શીખ સાંસદ
2021ના કેનેડીયન વસ્તી ગણતરી મુજબ, કેનેડામાં લગભગ 7 લાખ 70 હજાર શીખ છે. કેનેડાના 338 સીટ ધરાવતા હાઉસ ઓફ કોમન્સમાં ૧૮ શીખ સાંસદ છે. જયારે ભારતમાં 543 સીટ ફ્હારાવતી લોકસભામાં માત્ર 13 સાંસદ જ શીખ છે. જયારે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 2 કરોડથી વધુ શીખ રહે છે. જે દેશની કુલ વસ્તી ગણતરી મુજબ 1.7 ટકા છે. જેમાંથી 1.6 કરોડ શીખ પંજાબમાં રહે છે. પંજાબની કુલ વસ્તીમાં શીખોની સંખ્યા લગભગ 58 ટકા છે.
હરદીપ નિજ્જર કોણ હતો?
ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેના રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ હોવાના પૂરતા પુરાવા છે. તે ભારતના વિવિધ સમુદાયો વચ્ચે વિસંગતતા પેદા કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો. જૂન 2023 માં, કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.