અમેરિકામાં હિરોશિમા- નાગાસાકી અણુ હુમલાનો ઉલ્લેખ થતા જાપાન કેમ રોષે ભરાયું ?

ઇઝરાયેલને શસ્ત્રો પુરા પાડવા અંગે અમેરિકી સંસદમાં ચર્ચા ચાલતી હતી

સાંસદ ગ્રેહમે ૧૯૪૫ના અણુહુમલાને યોગ્ય ઠરાવતું નિવેદન કરેલું

Updated: May 15th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં હિરોશિમા- નાગાસાકી અણુ હુમલાનો ઉલ્લેખ થતા જાપાન કેમ રોષે ભરાયું  ? 1 - image


ટોક્યો,૧૫ મે,૨૦૨૪,બુધવાર 

હમાસ વિરુધની લડાઇમાં ઇઝરાયેલને અમેરિકી સૈન્ય સહાયતા આપવા મામલે એક અમેરિકી સાંસદ ગ્રેહમ દ્વારા ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી અણુ હુમલાનો વારંવાર ઉલ્લેખ કરતા જાપાનનો રોષ યથાવત રહયો છે. જાપાનના વિદેશમંત્રી કામિકાવા યોકોએ કડક પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું હતું કે  હિરોશિમા અને નાગાસાકિની ત્રાસદી કયારેય દોહરાવી શકાય તેવી નથી.

જાપાન પરમાણુ શસ્ત્રોની વિનાશકારી વાસ્તવિકતાને સમજાવવા માટે નિરંતર પ્રયાસ કરતું રહેશે.પ્રાપ્ત માહિતી અનુસાર ૮ મે ના રોજ અમેરિકી સંસદમાં ઇઝરાયેલને શસ્ત્રો પુરા પાડવામાં અંશત સ્થગિતતા પર ચર્ચા ચાલતી હતી ત્યારે રિપબ્લીકન પાર્ટીના સાંસદ લિંડસે ગ્રેહેમએ કહયું હતું કે યુદ્ધ લડવા માટે ઇઝરાયેલને  જરુરીયાત મુજબની તમામ સહાયતા આપવી જોઇએ કારણ કે તે હારવાનું જોખમ લઇ શકે તેમ નથી.

હારવાનું જોખમનું ઉદાહરણ આપીને ગ્રેહેમએ હિરોશિમા અને નાગાસાકી ઘટના સાથે સાંકળી હતી. એનબીપી ન્યૂઝને આપેલા સાક્ષાત્કારમાં અમેરિકી સાંસદ ગ્રેહમે ૨ જાપાની શહેરો પર બોંબમારો કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. આ એક સાચો નિર્ણય હતો એવી જ રીતે ઇઝરાયેલને સૈન્ય મદદ કરવી એ પણ સાચો નિર્ણય છે. જાપાને ગ્રેહમના કાર્યાલયને સૂચિત કરીને હિરોશિમા નાગાસાકી અંગેની ટીપ્પણીને અનુચિત ગણાવીને વિરોધ નોંધાવ્યો હતો. જાપાન બીજા વિશ્વયુદ્ધમાં થયેલા અણુહુમલા બાબતે અત્યંત સંવેદનશીલ રહયું હોવાથી લિંડસે ગ્રેહમના નિવેદનની ચર્ચા ચાલી રહી છે.



Google NewsGoogle News