મુક્તદા અલ-સદ્ર કોણ છે? જેમની રાજકારણ છોડવાની જાહેરાત બાદથી ઈરાકમાં ઉગ્ર બની હિંસા
બગદાદ, તા. 30 ઓગસ્ટ 2022 મંગળવાર
ઈરાકનુ રાજકારણ અત્યારે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયુ છે. કારણ છે એ કે ત્યાંના પ્રભાવશાળી શિયા ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રએ સોમવારે રાજકારણમાંથી સંન્યાસ લેવાનુ એલાન કરી દીધુ. જે બાદ સેનાએ કર્ફ્યુ લાગુ કરી દીધો છે પરંતુ અલ-સદ્રના સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા છે. દરેક સ્થળે ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. સમગ્ર દુનિયામાં મુક્તદા અલ-સદ્રનુ નામ ચર્ચામાં છે.
મુક્તદા અલ-સદ્ર કોણ છે
ઈરાકના પ્રભાવશાળી શિયા ધર્મગુરુ
મુક્તદા અલ-સદ્રએ સોમવારે એક ટ્વીટ કરીને રાજકારણમાંથી સંન્યાસ લેવા અને પોતાના પાર્ટી કાર્યાલયોને પણ બંધ કરવાનુ એલાન કર્યુ હતુ. શિયા ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈરાકી સેનાએ સોમવારે ચાર વાગે સાંજથી દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે. મુક્તદા અલ-સદ્ર ઈરાકના પ્રભાવશાળી શિયા ધર્મગુરુ છે અને રાજકીય રીતે પણ ઘણા સક્રિય છે.
સદ્દામ હુસૈનના પતન બાદ આવ્યા ચર્ચામાં
સદ્દામ હુસૈનના પતન બાદ અલ-સદ્ર 2003 સુધી ચર્ચામાં આવી ચૂક્યા હતા. તેઓ ગ્રેન્ડ અયાતુલ્લા સૈયદ મુહમ્મદ મુહમ્મદ-સાદિક અલ-સદ્રના પુત્ર છે.
જેમની 1999માં સદ્દામ હુસૈનએ હત્યા કરી દીધી હતી. શિયા સપોર્ટની સાથે તેઓ ધીરે-ધીરે ઈરાકનો સૌથી ચર્ચિત ચહેરો બનતા ગયા. જે બાદ અલ-સદ્રએ ઈરાકમાં દાયકાઓના સંઘર્ષ અને પ્રતિબંધોથી ઉભરવાનો પ્રયાસ અને સાંપ્રદાયિત સંઘર્ષ, મોટા પાયે ભ્રષ્ટાચારમાંથી છુટકારા માટે પોતાના સમર્થકોની સાથે આંદોલન કર્યુ છે.
આ પણ વાંચો: ઈરાક: ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રના રાજકારણ છોડવાના એલાન બાદ હિંસા, 20ના મોત
ગઈ ચૂંટણીમાં બહુમત સુધી પહોંચી શક્યા નહીં
અલ સદ્રએ અમેરિકા અને ઈરાની પ્રભાવનો વિરોધ કરીને દેશમાં વ્યાપક સમર્થન પ્રાપ્ત કર્યુ. અલ-સદ્રના નજીકનાનુ કહેવુ છે કે તેઓ ખૂબ જલ્દી નારાજ થઈ જાય છે અને નિર્ણય પણ ખૂબ જલ્દી લે છે. અલ-સદ્ર પોતાના પિતા અને પોતાના સસરાના વિચારોથી ખૂબ પ્રભાવિત છે. હાલ ગયા ઓક્ટોબરમાં થયેલી ચૂંટણીમાં અલ-સદ્રની પાર્ટીએ સૌથી વધારે બેઠકો જીતી હતી, પરંતુ તે બહુમત સુધી પહોંચી શક્યા નહોતા. જે બાદ રાજકીય મડાગાંઠ વધતો ગયો.
ઈરાકમાં છેલ્લા દસ મહિનાથી કોઈ સ્થાયી સરકાર નથી
ઈરાકના રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી બહુમન ન મેળવી શકવાના કારણે મુક્તદા અલ-સદ્રએ સરકાર બનાવવાની વાતચીતથી પોતાને બહાર કરી દીધા હતા. ઈરાકમાં છેલ્લા દસ મહિનાથી ના તો કોઈ સ્થાયી વડાપ્રધાન છે, ના કોઈ મંત્રીમંડળ છે અને ના કોઈ સરકાર છે. હવે નવી સરકારની રચનાને લઈને ફરીથી એક મહિનાથી મડાગાંઠ ચાલી રહ્યો છે. અલ-સદ્ર હવે ટૂંક સમયમાં ચૂંટણી કરવા અને સંસદને ભંગ કરવાની માગ કરી રહ્યા હતા.