આ સંહારક યુદ્ધ ક્યારે પુરું થશે ? નેતન્યાહુ હિઝબુલ્લાહને પણ આખરી નામુ આપી દીધુ છે
- ગાઝા, વેસ્ટ બેન્કમાંથી પેલેસ્ટાઇનીઓને કાઢી મુકાશે ?
- જ્યાં સુધી ઇસ્લામિક જૂથ પેલેસ્ટાઇની પ્રદેશ પર કબજો રાખશે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ઇઝરાયલી વડાપ્રધાન
જેરૂસલેમ : ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે આજે જણાવ્યું હતું કે, હમાસ સામેનું યુદ્ધ હવે પુરુ થવા ઉપર છે, આમ છતાં જયાં સુધી ઇલામિક જૂથ પેલેસ્ટાઇની પ્રદેશો ઉપરનો તેમનો કબજો નહીં છોડે ત્યાં સુધી યુદ્ધ ચાલુ જ રહેશે.
આ સાથે ઇઝરાયલ ઉત્તર સીમાએ ઇરાનના પીઠબળવાળા હીઝબુલ્લા જૂથ સામે લડવા સૈનિકો ગાઝામાંથી નેતન્યાહૂ ઉત્તરે મોકલી રહ્યા છે.
વાત સીધી છે. હવે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ સામ સામે યુદ્ધે ચઢી રહ્યા છે. પરિણામે ગાઝા-યુદ્ધનો કોઈ અંત જ દેખાતો નથી.
ગાઝાના રફાહ શહેર ફરતો ઇઝરાયલી સેનાનો ઘેરો સખત અને સખત બનતો જાય છે. રફાહનું પતન હવે હાથ વેંતમાં છે. ત્યારે નેતન્યાહૂએ કહ્યું હતું કે, હવે અમારે ગાઝામાં વધુ સૈન્યની જરૂર નથી. તેથી અમે કેટલાક દળો ઉત્તરે મોકલી રહ્યા છીએ. જે ઇરાનના પીઠબળવાળા હિઝબુલ્લાહ સામે ટકરાવાના છે.
નેતન્યાહૂ તરફી ટીવી ચેનલ ચેનલ-૧૪ ને આપેલી મુલાકાતમાં ઓડીયન્સના તાળીઓના ગડગડાટ વચ્ચે નેતન્યાહૂએ કહ્યું હતું કે, અમારે મન સંરક્ષણ તે સૌથી પહેલી બાબત છે. તે ઉપરાંત અમે લાખ્ખો વિસ્થાપિત યહૂદીઓને તેઓના નિવાસસ્થાનોએ પાછા લાવવા માગીએ છીએ. આ સાથે તેઓએ કહ્યું હતું કે, હવે અમારૃં બીજુ નિશાન ઇરાનના પીઠબળવાળા હિઝબુલ્લાહ છે.
ઉલ્લેખનીય છે કે હમાસે ૭મી ઓકટોબરે દક્ષિણ ઇઝરાયલમાં એક સમારોહમાં હુમલો કર્યો તે સાથે ગાઝા યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ત્યારથી જ ઇરાનના પીઠબળવાળા હિઝબુલ્લાહ જૂથે પણ ઇઝરાયલ ઉપર છૂટા-છવાયા ગોળીબારો શરૂ કરી જ દીધા હતા. પરંતુ હવે તો તે બંને વચ્ચે યુદ્ધ જામી જ પડશે તેમ સ્પષ્ટ થઇ રહ્યું છે. સાથે વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાની પણ આશંકા વધી રહી છે. જો કે હમાસ કરતા હિઝબુલ્લાહ ઘણા બળવાન છે. તેમને ઇરાનનું સીધું જ પીઠબળ છે. તેથી બંને વચ્ચે યુદ્ધ તીવ્ર પણે ફાટી નીકળવાની પૂરી શકયતા છે.
દરમિયાન વ્હાઈટ હાઉસના દૂત એમાએ હોચસ્ટીન ગત સપ્તાહે જ તંગદિલી ઘટાડવાના હેતુથી ઇઝરાયલ અને લેબોનીઝ અધિકારીઓને મળ્યા હતા. તેમ છતાં યુદ્ધ તો ચાલુ જ રહ્યું હતું.
ઇઝરાયલી વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ મંત્રણા દ્વારા આ વિવાદનો ઉકેલ આવે તેમ જ ઇચ્છે છે. પરંતુ જો તેમ ન બની શકે તો તેનો ઉકેલ બીજા માર્ગો પણ લાવવો જ ડે.
નેતન્યાહૂના આ વિધાનો પરથી નિરીક્ષકો સ્પષ્ટ આશંકા સેવે છે કે ઇઝરાયલ - પેલેસ્ટાઇનીઓને જ ગાઝા પટ્ટી અને જોર્ડન નદીના પૂર્વતટ ઉપરથી વેસ્ટ બેન્કમાંથી કાઢી મુકવા કટિબદ્ધ છે.