અંતરિક્ષમાં 3 મહિનામાં જ ભોજન પતી ગયું હતું... તો સુનિતા વિલિયમ્સ શું ખાઈને જીવીત રહ્યાં?
Sunita Williams Butch Wilmore What Did Astronauts Eat In ISS: ભારતીય મૂળની અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથીદાર બૂચ વિલ્મોર સાથે 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. નાસાના આ બે અંતરીક્ષયાત્રીઓ કુલ 286 દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યા છે. 17 કલાકની મુસાફરી પછી ડ્રેગન અંતરીક્ષયાન 19 માર્ચના રોજ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું હતું. 9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતાં જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
સુનિતા અને બુચ વિલ્મોર માટે આ મિશન બિલકુલ સરળ નહોતું. છેલ્લા 9 મહિનામાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી આવેલી કેટલીત તસવીરોમાં સુનિતાની સ્થિતિ ચિંતાજનક દેખાઈ હતી, ત્યારબાદ તેમના સ્વાસ્થ્ય અંગે પણ સવાલો ઉભા થયા હતા. એવા પણ અહેવાલો હતા કે, સુનિતા પોતાનો પેશાબ પીઈને અવકાશમાં જીવી રહી છે. તમારા મનમાં આ સવાલ પણ ઉઠતો હશે કે, સુનિતા વિલિયમ્સ આટલા લાંબા સમય સુધી અવકાશમાં ફસાઈ રહેતા તેણે શું ખાધુ હશે? અંતરિક્ષમાં સુનિતાને મોટા ભાગે ફ્રોઝન ફૂડનો જ સહારો હતો.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે ISSમાં શું ખાધું?
બોઈંગ સ્ટારલાઈનર મિશનના મુદ્દાઓના જાણકાર એક સૂત્રના જણાવ્યા પ્રમાણે મિશન દરમિયાન અવકાશયાત્રીઓને તાજા ફળો અને શાકભાજી નહોતા મળતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુનિતા અને બૂચ વિલ્મોર આ સમય દરમિયાન પાવડર દૂધ, પિઝ્ઝા, રોસ્ટ ચિકન, ઝીંગા કોકટેલ અને ટૂના માછલી ખાઈને જીવીત રહ્યા. ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂ યોર્ક પોસ્ટે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સુનિતાને ISS પર ફક્ત પિઝ્ઝા અને ઝીંગા કોકટેલ જ મળતા હતા.
અંતરિક્ષમાં 3 મહિનામાં જ ભોજન પતી ગયું હતું
અંદરના સૂત્રએ એ પણ જણાવ્યું કે, શરૂઆતમાં ઉપલબ્ધ તાજા ફળો અને શાકભાજી ત્રણ મહિનામાં જ પતી ગયા હતા. ત્યારબાદ માત્ર પેકેજ્ડ અને ફ્રીઝ-ડ્રાઈ શાકભાજીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત માંસ અને ઈંડા પૃથ્વી પર જ રાંધીને પછી મોકલવામાં આવતા હતા, જેને ISS પર ગરમ કરવાની જરૂર હતી. સૂપ, સ્ટૂ અને કેસરોલ જેવા ફ્રોઝન ફૂડને પાણીથી હાઈડ્રેટ કરવામાં આવતા હતા. બીજી તરફ પાણી માટે તેમના પેશાબ અને પરસેવાને તાજા પાણીમાં રિસાયકલ કરવામાં આવ્યા હતા.
શું કહી રહ્યા એક્સપર્ટ
જોકે, એક્સપર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સુનિતાનું વજન ઓછું ખાવાથી નથી ઘટ્યું. નિષ્ણાતોના મતે એ સ્પષ્ટ થવું જોઈએ કે વજનમાં કોઈપણ ઘટાડો ISS પર ખોરાકની અછતને કારણે નથી. લાંબા મિશન માટે પણ પૂરતું ભોજન હતું. નોંધનીય છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને દરેક અવકાશયાત્રીના હિસાબે લગભગ 3.8 પાઉન્ડ ખોરાક પૂરો પાડવામાં આવે છે. આ સાથે જ અહીં ઈમરજન્સીની સ્થિતિ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે.