માનવ શબના ઝીણા ઝીણા ટુકડા કરીને ગીધોને ખવડાવવાની આ તે કેવી અંતિમવિધી ?
હાડકા પર માખણ ચોપડીને કાગડા તથા સમડીઓેને પણ ખવડાવે છે
ઉંચાઇએ ઝાડપાન મળતા ના હોવાથી લાકડા મેળવવા મુશ્કેલ પડે છે
20 સપ્ટેમ્બર,બુધવાર, લ્હાસા
દરેક માણસ મુત્યું પામે તે પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. દરેક ધર્મમાં તેની આગવી પરંપરા અને રીત રીવાજો પણ હોય છે. પરંતુ દુનિયામાં એક એવો પણ સમુદાય વસે છે જે મુતદેહના કુહાડીથી ઝીણા ઝીણા ટુકડા કરીને ગીધોને ખવડાવે છે. અંતિમ સંસ્કારની આ તરકિબ અત્યંત ઘૃણાજનક અને કમકમાટી ઉપજાવે તેવી હોય છે. પરંતુ તેમના માટે સાવ સહજ છે. તિબેટનો આ બૌદ્ધ સમુદાયમાં થતી આ અંતિમ વિધીને સદીઓથી ઝાટોર એટલે કે સ્કાર્ય બુરિયલ કહે છે. જેમાં મૃતદેહ આકાશને સોંપી દેવામાં આવે છે.
માણસનું મુત્યું થાય એટલે શબને ઉંચાણવાળા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં લઇ જવામાં આવે છે. આ શબની લામા એટલે કે બૌધ્ધ સાધુ પુજા કરે છે અને ત્યાર બાદ તેમના અનુયાયીઓ શબને ટુકડા કરવાનું શરુ કરે છે. બીજા કેટલાક માણસો લોટની રબડી તૈયાર કરે છે અને આ રબડીમાં લાશના નાના નાના ટુકડા કરીને ગીધોને ખવડાવવામાં આવે છે.જયારે ગીધ ટુકડામાં વહેચાયેલું બધું જ માંસ ખાઇને જતા રહે ત્યારે વધેલા હાડકાને વીણી લઇને તેના પર યાક નામના પહાડી પાલતુ પ્રાણીના દૂધનું માખણ ચોપડીને હાડકાના ટુકડાઓ કાગડા તથા સમડી જેવા માસાહારી પક્ષીઓને ખવડાવવામાં આવે છે.
જો કે પારસી સમુદાયમાં ગીધો તથા સમડીઓને શબ સોંપીને અંતિમ ક્રિયા કરવાની પરંપરા પ્રચલિત છે પરંતુ શબના નાના ટુકડા કરીને ગીધોને ખવડાવવાની ઘૃણાજનક પ્રથા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ચીન પાસે આવેલા મોગોલિયા દેશમાં પણ કેટલાક સ્થળે આવી પ્રથા મોજુદ છે. જો કે તિબેટમાં આ પ્રથા કેવી રીતે પડી હશે તેના અંગે જાણકારોએ સંશોધન પણ કર્યું છે. તિબેટમાં ખૂબ ઉંચાઇએ ઝાડપાન મળતા ના હોવાથી લાકડા મેળવવા મુશ્કેલ પડે છે.
બીજુ કે કબર ખોદવીએ કઠણ જમીનમાં શકય બનતી ના હોવાથી સદીઓ પહેલા આ પ્રથા અસ્તિત્વમાં આવી હોવી જોઇએ.જો કે મોર્ડન જમાનામાં આ વિસ્તારમાં વ્યવસ્થા થઇ શકે છે તેમ છતાં લોકો પરંપરાને છોડવા માટે તૈયાર નથી. તિબેટના મોટા ભાગના લોકો વ્રજયાન બૌધ્ધ ધર્મને માને છે.તેઓ વિચારે છે કે શરીરમાંથી આત્મા નિકળી જાય એ પછી શરીરને કશું જ થતું નથી. બીજુ કે દફનાવવામાં આવે ત્યારે પણ કબરમાં શબને કિડા મકોડા તથા સુક્ષ્મ જીવાણુંઓ ખાય જ છે. આથી શરીરના ટુકડા કરીને ગીધને ખવડાવવામાં કશું જ ખોટું નથી.