પાકિસ્તાના નેતાઓ નહીં સુધરેઃ કાર્યકારી વડાપ્રધાને કહ્યુ કે, કાશ્મીર મુદ્દો અમે દરેક મંચ પર ઉઠાવવાનુ ચાલુ રાખીશું
Image Source: Twitter
ઈસ્લામાબાદ, તા. 17 સપ્ટેમ્બર 2023
પાકિસ્તાનમાં સરકાર કોઈ પણ હોય પરંતુ કાશ્મીર મુદ્દે દરેક પક્ષના નેતાઓ ઝેરીલા નિવેદનો આપવા માટે તૈયાર જ રહેતા હોય છે.
પાકિસ્તાનના કાર્યકારી પીએમ અનવાર ઉલ હક કાકડ પણ તેમાંથી બાકાત નથી. તેમની મોટી જવાબદારી પાકિસ્તાનમાં ચૂંટણી કરાવવાની છે પણ કાશ્મીરનુ રટણ તેમણે પણ ચાલુ રાખ્યુ છે. અમેરિકાના એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ છે કે, અફઘાનિસ્તાન સીમા પર તણાવના કારણેપાકિસ્તાનમાં ચૂંટણી યોજવામાં મોડુ નહીં થાય.
તેમણે ભારત સામે ઝેર ઓકતા કહ્યુ હતુ કે, કાશ્મીરનો મુદ્દો દુનિયાના દરેક મંચ પર પાકિસ્તાન હંમેશા ઉઠાવતુ રહેશે. કારણકે તે યુએનના એજન્ડા પરનો સૌથી જૂનો અને હજી સુધી વણઉકેલ્યો રહેલો મુદ્દો છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે વકીલાત કરતુ રહ્યુ છે અને તેના માટે અવાજ ઉઠાવતુ રહેશે.
એક તરફ કલમ 370 હટયા બાદ કાશ્મીરમાં ડેવલપમેન્ટ થઈ રહ્યુ છે અને હવે તો ત્યાં ફોર જી સુવિધા પણ શરુ થઈ ગઈ છે ત્યારે પાકિસ્તાનના પીએમ કાકડે હળાહળ જુઠ્ઠાણુ ચલાવતા કહ્યુ હતુ કે, કાશ્મીરને ભારતે દુનિયાની સૌથી મોટી જેલમાં ફેરવી નાંખ્યુ છે.કાશ્મીરના લોકોનો અવાજ દબાવાઈ રહ્યો છે.