પાપુઆન્યૂગિનીમાં જ્વાળામુખી વિસ્ફોટ ભારતે તત્કાળ 10 લાખ ડોલરની સહાય મોકલી
- ભારત હજી પણ વધુ સહાય મોકલશે
- માઉન્ટઉલાવુન જ્વાળામુખીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટને લીધે 26000થી વધુ લોકો વિસ્થાપિત: માનવીય સહાયની તત્કાળ જરૂર
નવીદિલ્હી, પોર્ટમોરેસ્બી : પ્રશાંત મહાસાગરના પૂર્વીય છેડા ઉપર આવેલાં પાપુઆના ન્યૂગિનીમાં માઉન્ટ ઉલાવન નામક જ્વાળામુખીનો વિસ્ફોટ થતાં વ્યાપક નુકસાનની ભીતિ રહેલી છે. ૨૬,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ફેરવવામાં આવ્યા છે. તેઓને તમામ માનવીય સહાયની જરૂર હોઈ ભારતે તેનાં આ મિત્ર રાષ્ટ્રને ૧૦ લાખ ડોલરની સહાય મોકલી દીધી છે.
આ માહિતી આપતાં વિદેશ મંત્રાલય જણાવે છે કે, દરેક વખતે જ્યારે જ્યારે પાપુઆ ન્યૂગિની ઉપર કુદરતી આપત્તિઓ આવી છે. ત્યારે ત્યારે ભારત તેની પડખે ઊભું જ રહ્યું છે.
વિદેશ મંત્રાલય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ફોરમ-ફોર-ઇંડિયા-પેસિફિક આઈલેન્ડઝ કોઓપરેશન (એફઆઇપીઆઈસી) નીચે એક નિકટના મિત્ર અને વિકાસ ભાગીદાર તેવાં પાપુયાના ન્યૂગિનીમાં પુનર્વસન, અને પુન:નિર્માણ માટે તત્કાળ રાહત મોકલવામાં આવી રહી છે.
આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતે ન્યૂગિની પાપુયાનાને ૨૦૧૮ના ભૂકંપ તથા ૨૦૧૯ના જ્વાળામુખી વિસ્ફોટ સહિત દરેક આપત્તિઓ સમયે ભારત તેની સાથે ઊભું જ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં રજૂ કરેલા ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશ્યેટિવ (આઇ.પી.ઓ.આઈ.)નો પાપુયાના ન્યૂગિની એક મહત્ત્વપૂર્ણ દેશ છે.
ઉલ્લેખનીય છે કે, પાપુઆના-ન્યૂગિનીના પ્રમુખ જેમ્સ મરાએ ભારત અને વિશેષત: વડાપ્રધાન મોદીના પ્રશંસક છે. વડાપ્રધાન મોદી પોર્ટ-મોરેસ્બીની મુલાકાતે ગયા હતા ત્યારે જેમ્સ મોરાબેએ સ્વયં તેઓનું રેડકાર્પેટ સાથે સ્વાગત કર્યું હતું.