મંદિરો પર વધી રહેલા હુમલાથી ભારતીય મૂળના અમેરિકન સાસંદો નારાજ, સંસદમાં રજૂ કર્યો પ્રસ્તાવ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
મંદિરો પર વધી રહેલા હુમલાથી ભારતીય મૂળના અમેરિકન સાસંદો નારાજ, સંસદમાં રજૂ કર્યો પ્રસ્તાવ 1 - image

image : Twitter

Attacks On Hindu Places at US  : ભારત સહિતના બીજા દેશોના મામલાઓમાં માથુ મારતા અમેરિકાને તેના જ દેશના સાંસદોએ સંસદની અંદર અરીસો બતાવ્યો છે. 

અમેરિકાની સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કરાયો છે અને તેમાં અમેરિકામાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલા સામે નારાજગી વ્યક્ત કરાઈ છે. આ પ્રસ્તાવને ભારતીય મૂળના કોંગ્રેસ મેન શ્રી થાનેદારે સંસદ સમક્ષ રજૂ કર્યો છે. 

આ પહેલા પણ ભારતીય મૂળના સાંસદોએ અમેરિકાના કાયદા મંત્રાલયને એક પત્ર લખીને હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલામાં શું કાર્યવાહી થઈ તેનો જવાબ માંગ્યો હતો. 

સંસદમાં રજૂ થયેલા પ્રસ્તાવમાં કહેવાયુ છે કે, અમેરિકાની પ્રગતિમાં હિન્દુ સમુદાયનુ બહુ મોટુ યોગદાન છે. આમ છતા હિન્દુઓને અમેરિકામાં પક્ષપાતનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલો અને કોલેજોમાં હિન્દુ વિદ્યાર્થીઓનુ અપમાન કરાય છે, તેમની સાથે પક્ષપાત કરાય છે અને તેમને હેટ ક્રાઈમનો ભોગ બનવાનો વારો આવે છે. અમેરિકામાં હિન્દુઓ સામે નફરતની અને મંદિરો પર હુમલાઓની ઘટનાઓ વધી છે. અમેરિકામાં આજે 40 લાખ હિન્દુઓ રહે છે અને તેઓ અમેરિકાના દરેક ક્ષેત્રમાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે. આમ છતા તેઓ હિન્દુ ફોબિયાનો શિકાર બની રહ્યા છે. 

સંસદમાં રજૂ થયેલા કાયદા પહેલા 29 માર્ચે  ભારતીય મૂળના પાંચ સાંસદોએ ભારતની સરકારને પત્ર લખીને હિન્દુ મંદિરો પર થયેલા હુમલાની તપાસની જાણકારી અમેરિકન સરકાર પાસે માંગી હતી. આ પત્રમાં કહેવાયુ હતુ કે, ન્યયોર્કથી કેલિફોર્નિયા સુધી મંદિરો પર એટેક કરવામાં આવ્યા છે અને તેના કારણે હિન્દુ સમુદાયમાં ગભરાટનો માહોલ છે. આ હુમલાની તપાસમાં અમેરિકન એજન્સીઓની ઢીલી નીતિની સામે પણ આ સાંસદોએ નારાજગી વ્યક્ત કરી હતી. 


Google NewsGoogle News