તણાવ વધવો ન જોઈએ, મતભેદોનું સમાધાન લાવો: સંયુક્ત રાષ્ટ્રની ભારત-પાકિસ્તાનને અપીલ
United Nations on Pahalgam: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર(UN)એ બંને દેશોને 'મહત્તમ સંયમ' રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં.
અમે ભારત અને પાકિસ્તાને મહત્તમ સંયમ રાખવા અપીલ કરીએ છીએ: યુએન
યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, 'અમે ભારત અને પાકિસ્તાનની સરકારોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તેની ખાતરી કરવા હાકલ કરીએ છીએ.'
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતાં યુએનના પ્રવક્તા ડુજારિકે કહ્યું કે, 'ભારત અને પાકિસ્તાને વાતચીત કરવી જોઈએ. અમારું માનવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો કોઈપણ મુદ્દો અર્થપૂર્ણ પરસ્પર વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે અને ઉકેલવો જોઈએ.'
આતંકવાદી હુમલા બાદ ભારતે શું કર્યું?
આ હુમલા બાદ, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ(CCS)એ પાંચ મોટા નિર્ણયો લીધા જેમાં...
1. સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી
2. અટારી-વાઘા સરહદ બંધ કરી
3. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સસ્પેન્શન
4. રાજનૈતિક સંબંધો પર કાપ મૂકવામાં આવ્યો
5. સરહદ પર કડક સુરક્ષા
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલા અંગે Newyork Times ની હેડલાઈન વિવાદમાં, અમેરિકન સરકારે સુધારી
આ મામલે પાકિસ્તાનની પ્રતિક્રિયા
પાકિસ્તાને ભારતની કાર્યવાહીને 'યુદ્ધનું કૃત્ય' ગણાવીને તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના કાર્યાલયે જણાવ્યું હતું કે, 'સિંધુ જળ સંધિ હેઠળ પાણી અટકાવવાનો અથવા તેને વાળવાનો કોઈપણ પ્રયાસ 'યુદ્ધનું કૃત્ય' માનવામાં આવશે. પાકિસ્તાને ભારતીય નાગરિકો માટે વિઝા રદ કરીને, ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરીને અને તમામ વેપાર પ્રવૃત્તિઓ સ્થગિત કરીને બદલો લીધો.'
પાકિસ્તાને 1972ના શિમલા કરારને સ્થગિત કરવાની પણ જાહેરાત કરી. પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ આ હુમલાને 'ખોટું ફ્લેગ ઓપરેશન' ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે ભારત પુરાવા વિના પાકિસ્તાનને બદનામ કરી રહ્યું છે.