UKમાં ઋષિ સુનકને પરાજિત કરનાર લેબર પાર્ટીનું ભારતની સ્વતંત્રતા સાથે છે ખાસ કનેક્શન

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Labour Party First PM Clement Attley



Britain General Election: બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટી ફરી સત્તામાં આવી છે. આ પાર્ટીને હંમેશાથી ભારતને સમર્થન આપનારી પાર્ટી તરીકે જોવામાં આવે છે. આ પાછળનું એક કારણ એ છે કે આ પાર્ટીએ બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને આઝાદી અપાવવા માટે કાયદો બનાવ્યો અને ખરેખર દેશને આઝાદ કરાવ્યો હતો. જ્યારે બ્રિટનની બીજી મુખ્ય કન્ઝર્વેટિવ પાર્ટી અને તે સમયના તેના દિગ્ગજ નેતાઓ હંમેશા ભારતને સ્વતંત્રતા આપવાના મજબૂત વિરોધી હતા. આ કારણથી લેબર પાર્ટીને હંમેશા ભારત માટે ખૂબ જ મૈત્રીપૂર્ણ પાર્ટી કહેવામાં આવે છે. જ્યારે પણ આ પક્ષ ચૂંટણી લડે છે અથવા સત્તામાં આવે છે, ત્યારે તે ભારત અને ભારતીયોને તેના ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપે છે.


કઇ રીતે રચાયો હતો આ પક્ષ?

વાસ્તવમાં, મજૂર વર્ગનો અવાજ સંસદ સુધી લઈ જવા માટે બ્રિટનમાં વર્ષ 1900માં ટ્રેડ યુનિયનો અને સમાજવાદીઓ દ્વારા લેબર પાર્ટીની રચના કરવામાં આવી હતી. વિવિધ પુસ્તકો મુજબ આ પાર્ટી હંમેશા ભારત પ્રત્યે વધુ મૈત્રીપૂર્ણ હતી. વર્ષ 1917 થી 1939 સુધી, આ પક્ષના નેતાઓ સંસદમાં અને તેમના ભાષણોમાં ભારતની સ્વતંત્રતા ચળવળ પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવતા હતા.


ભારતને આઝાદ કરવાનું વચન આપ્યું હતું

બીજા વિશ્વયુદ્ધ પછી, જ્યારે 1945માં બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ, ત્યારે બ્રિટિશ મતદારોને તેમના યુદ્ધથી કંટાળી ગયેલા દેશના ભવિષ્યને બદલવાની તક મળી હતી. તે સમયે બ્રિટનમાં બે મુખ્ય રાજકીય પક્ષો હતા - કન્ઝર્વેટિવ પાર્ટી, જેણે બીજા વિશ્વયુદ્ધમાં દેશને વિજયી બનાવવામાં ભૂમિકા ભજવી હતી, પરંતુ દેશે સંસાધનોનો ત્યાગ કરીને તેની કિંમત ચૂકવી હતી. તે જ સમયે, લેબર પાર્ટી મહત્વાકાંક્ષી સામાજિક સુધારણા કાર્યક્રમ રજૂ કરી રહી હતી. તે સમય સુધી ભારત બ્રિટિશ સામ્રાજ્ય માટે એક રત્ન હતું. જેનો ઉલ્લેખ બંને પક્ષોના જાહેરનામામાં કરવામાં આવ્યો હતો. તે સમયની કન્ઝર્વેટીવ પાર્ટી બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈન્યની બહાદુરી પ્રભાવિત થયી હતી તેથી તે ભારત પરથી કબજો છોડવાની વિરૂદ્ધ હતી. તેનાથી વિપરીત લેબર પાર્ટીએ બ્રિટિશ લોકોને કહ્યું કે તેનો હેતુ 'ભારતને જવાબદાર સ્વ-સરકાર તરફ લઈ જવાનો' છે. તે હવે ભારતને સ્વ-શાસનની તક આપશે.


આખરે ભારતને આઝાદી આપતો કાયદો પસાર થયો

1945માં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો ત્યાર બાદ 1946થી લેબર પાર્ટીના પ્રધાનમંત્રી ક્લેમેન્ટ એટલીની સરકાર એ કાયદો ઘડવામાં લાગી ગઇ કે જેથી ભારતને આઝાદી મળી. આ કાયદાનું નામ હતું ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્સ એક્ટ 1947 એટલે કે ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ 1947. આ કાયદો બ્રિટિશ સંસદમાં 18 જુલાઈ 1947ના રોજ શાહી સંમતિ સાથે પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે નક્કી થયું કે હવે ભારતને આઝાદી અપાશે. ત્યારબાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી આપવામાં આવી હતી.


લેબર પાર્ટી ન હોત તો આ કામમાં થોડો વધુ સમય લાગત

આ દર્શાવે છે કે લેબર પાર્ટીની એટલી સરકારે જે ઝડપે ભારતની આઝાદી માટે પગલાં લીધાં તે ખરેખર અભૂતપૂર્વ હતું. આ પછી પણ જ્યારે લેબર પાર્ટી સત્તામાં આવી ત્યારે તેણે ભારતનું ખાસ ધ્યાન રાખ્યું હતું. આ એટલી સરકારની વિશેષ સિદ્ધિ તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.


Google NewsGoogle News