ભારતના સિખ રમખાણોને નરસંહાર જાહેર કરે ટ્રુડો સરકાર, આરએસએસની શાખાઓ પર પ્રતિબંધ મુકેઃ જગમીત સિંહ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ભારતના સિખ રમખાણોને નરસંહાર જાહેર કરે ટ્રુડો સરકાર, આરએસએસની શાખાઓ પર પ્રતિબંધ મુકેઃ જગમીત સિંહ 1 - image

image : twitter

ઓટાવા,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

કેનેડા અને ભારત વચ્ચે પહેલેથી જ તંગ સબંધોમાં ભડકો થાય તેવુ નિવેદન કેનેડાની નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા તેમજ પીએમ જસ્ટિન ટ્રુડોના નિકટના ગણાતા જગમીત સિંહે આપ્યુ છે.

જગમીત સિંહે સોશિયલ મીડિયા પર કહ્યુ છે કે, 1984માં થયેલા સિખ રમખાણોમાં સિખોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ આરોપ મુકયો છે કે, તોફાનો પાછળ આરએસએસનો હાથ હતો. કેનેડામાં આરએસએસની જેટલી પણ શાખાઓ ચાલે છે તેના પર વડાપ્રધાન ટ્રુડોએ પ્રતિબંધ મુકવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, જગમીત સિંહ પહેલેથી જ ખાલિસ્તાનીઓનુ સમર્થન કરી રહ્યા છે. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનુ પણ તેઓ  કહેતા આવ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, મારી પાર્ટી સિખ રમખાણોને નરસંહાર જાહેર કરી ચુકી છે અને વડાપ્રધાન ટ્રુડોની લિબરલ સરકારે પણ આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ. સરકાર તરફથી ચલાવવામાં આવેલા અભિયાનના ભાગરુપે ભારતમાં 1984માં હજારો સિખોને મારી નાંખવામાં આવ્યા હતા. આ વર્ષે કેનેડામાં નિજ્જરની હત્યામાં પણ ભારતના એજન્ટો સામેલ હોવાનુ કેનેડાને ખબર પડી છે. આ ઘટનાએ જુના ઘા ફરી તાજા કરી દીધા છે. હવે કેનેડાએ તે પ્રમાણે કાર્યવાહી કરવાની જરુર છે.

ભારત સામે જગમીત સિંહ બેફામ આક્ષેપો કરી રહ્યા છે. ગત મહિને તેમણે કહ્યુ હતુ કે, કેનેડાની ચૂંટણીમાં પણ ભારતના હસ્તક્ષેપની તપાસ કરવાની જરુર છે. ભારત મીડિયાના ઉપયોગથી સિખોને ભડકાવવા માટે અને તેમનુ ધ્યાન બીજે દોરવા માંગે છે. ટ્રુડોએ ભારતીય મીડિયાને સ્હેજ પણ મહત્વ આપવુ જોઈએ નહીં. નિજ્જરની હત્યા બાદ ભારત સરકારે કેનેડાની સ્વાયત્તા પર હુમલો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, જગમીત સિંહની નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના ટેકાથી ટ્રુડોની સરકાર ચાલી રહી છે અને આ કારણે જ ટ્રુડો ખાલિસ્તાનીઓ સામે નરમ વલણ અપનાવતા હોવાના આક્ષેપો પહેલા પણ તેમના વિરોધીઓ કરી ચુકયા છે.


Google NewsGoogle News