104, 116 અને હવે 157... આજે અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને ત્રીજું વિમાન અમૃતસર પહોંચશે
USA Deportaiton News | અમેરિકાથી 119 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને સૈન્ય વિમાન C-17 એ ગ્લોબમાસ્ટર-3 શનિવારે રાત્રે 11:30 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. શરૂઆતમાં 119 ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી ડિપોર્ટ કરાયાના અહેવાલો મળ્યા હતા, પરંતુ પછીથી યાદીમાં સુધારો કરવામાં આવ્યો. આ ફ્લાઇટમાં પંજાબથી 65, હરિયાણાથી 33, ગુજરાતથી 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી 2-2 અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરથી 1-1 વ્યક્તિ સવાર હતા.
આજે ત્રીજું વિમાન આવશે
એરપોર્ટની અંદર સૌ પ્રથમ બધાના દસ્તાવેજો તપાસવામાં આવ્યા. આ સાથે એ પણ જોવામાં આવ્યું કે કોઈનો કોઈ ગુનાઈત રેકોર્ડ છે કે નહીં. બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેમને તેમના પરિવારને સોંપવામાં આવ્યા. હવે અમેરિકાથી આજે સવારે ત્રીજું વિમાન 157 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમૃતસર પહોંચશે. જોકે વિમાન અહીં કયા સમયે ઉતરશે તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પહેલા વિમાનમાં 104 અને બીજા વિમાનમાં 116 ગેરકાયદે ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જેમાં અગાઉ ગુજરાતના 37 અને પછી 8 લોકો ભારત આવી પહોંચ્યા હતા.
સીએમ ભગવંત માન કેન્દ્ર સરકાર પર ગુસ્સે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસર એરપોર્ટ પર ભારતીય સ્થળાંતર કરનારા અમેરિકન વિમાનોના ઉતરાણ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પવિત્ર શહેર અમૃતસરને બદનામ કરવામાં આવી રહ્યું છે. અમે અમૃતસરને ડિપોર્ટ સેન્ટર બનવા દઈશું નહીં. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોને અમૃતસર એરપોર્ટ પર ઉતારવા એ કેન્દ્ર સરકારનું કાવતરું છે. આ વિમાનને દિલ્હી, અમદાવાદ અથવા દેશના કોઈપણ એરબેઝ પર ઉતારી શકાય છે. અમેરિકાથી આવતી ફ્લાઇટ્સ માટે, દિલ્હી એરપોર્ટ પહેલા આવે છે.