પાકિસ્તાનમાં 42 વર્ષ પહેલા કરાંચીમાં સ્થપાઇ હતી યોગ ઇન્સ્ટિટયૂટ, ભારત પાસેથી જ જાણવા મળ્યું હતું યોગનું જ્ઞાન
પાકિસ્તાનના પ્રોફેસર મોઇજ હુસેન મુંબઇ આવીને યોગ શિખ્યા હતા
ઇસ્લામાબાદ,લાહોર અને કરાંચીમાં પણ વધતો જતો યોગનો પ્રચાર
નવી દિલ્હી,21 જૂન,2023,બુધવાર
દુનિયાનો એક માત્ર દેશ જેના ભાગલા જ ધર્મના આધારે થયા છે એવા પાકિસ્તાનમાં પણ યોગ ઝડપથી લોકપ્રિય થઇ રહયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ૧૯૮૦માં પાકિસ્તાનના પ્રો, મોઇજ હુસેન મુંબઇ આવીને યોગ શિખ્યા હતા અને કરાંચી ખાતે પોતાની યોગ ઇન્સ્ટિટયૂટ સ્થાપી હતી.
રેકી, હિપ્નોટાઇઝ અને માઇન્ડ સાયન્સના જાણકાર પ્રો મોઇજને પાકિસ્તાનમાં યોગ પ્રવૃતિના પાયોનિયર ગણવામાં આવે છે. ૧૯૮૦ના ગાળામાં પાકિસ્તાનના જનરલ ઝિયા ઉલ હકકનું શાસન ચાલતું હતું. ઝિયાએ પાકિસ્તાનના ઇસ્લામીકરણના નામે ભારત વિરોધી ઝેર ફેલાવ્યું હતું. ભારતીય સંગીત,નૃત્ય અને કળા શિખવા પર પણ આકરા પ્રતિબંધ લાદયા હતા.
આવા સંજોગોમાં પ્રોફેરસ મોઇજે ભારતમાં યોગ શીખીને પાકિસ્તાનમાં ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. એક યોગના જાણકાર તરીકે સમજાવ્યું કે યોગ ભલેને ગમે ત્યાંથી આવ્યો હોય પરંતુ તેનો ફાયદો થતો હોયતો પછી અપનાવવામાં શું વાંધો છે ?
૧૯૯૦ના દાયકામાં પાકિસ્તાનની ટીવી ચેનલો પર પણ ધ્યાન અને યોગનું પ્રથમ પ્રસારણ થયું હતું.કરાંચી ખાતેની મોઇજ હુસેનની આ યોગ ઇન્સ્ટીટયૂટમાં યોગ શીખવા માટે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું. આજે પણ મહિલાઓ યોગના માધ્યમથી શારીરિક અને માનસિક ફિટનેસ મેળવનાર મુસ્લિમ મહિલાઓ યોગ શીખવે છે.
ત્યાર પછી પાકિસ્તાનના બાબા રામદેવ તરીકેની ઓળખ મેળવનાર પંજાબ પ્રાંતનો શમશાદ હૈદર પણ ભારતમાં આવીને યોગ શીખ્યો છે. શમશાદ યોગગુરુ ગોએન્કાથી ખૂબજ પ્રભાવિત છે તે હ્વરદ્વારમાં પણ યોગ શીખવા લાંબા સમય સુધી રોકાયો હતો. તેમણે યોગાભ્યાસ માટે નેપાળ અને તિબેટનો પ્રવાસ કર્યો છે.
શમશાદે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જ ૫૦ થી વધુ યોગ શીબિરો ચલાવે છે. ઇસ્લામાબાદના એક પાર્કમાં રોજ ૫૦ થી ૬૦ લોકો યોગ માટે એકઠા થાય છે. લાહોરના શાલીમાર ગાર્ડનમાં મુસ્લિમો યોગ અને પ્રણાયામ કરે છે. ગત વર્ષ જુન ૨૦૧૮માં પાકિસ્તાનના પ્રતિષ્ઠિત ડૉન ન્યૂઝ પેપરમાં તેનો અહેવાલ પ્રકાશિત થયો હતો.
લાહોરમાં આરિફા ઝાહિદ નામની મહિલા ઇન્ડસ યોગા હેલ્થ કલબ ચલાવે છે. જેટલા પણ લોકો યોગ સાથે જોડાઇ રહયા છે તેમને યોગ એ માત્ર સારા આરોગ્યની ચાવી છે આથી તેમને કશું જ ધર્મ વિરોધી જણાતું નથી. ઇસ્લામાબાદ, લાહોર અને કરાંચી જેવા મોટા શહેરો જ નહી ડેરા ઇસ્માઇલખાન જેવા ગ્રામીણ વિસ્તારના લોકોને પણ યોગનું ઘેલું લાગ્યું છે.