આ ગ્લોબલ વિલેજમાં રહેતા લોકો કોઇ ધર્મ પાળતા નથી, નથી ઉંચ કે નીચના કોઇ ભેદ
યુનેસ્કો દ્વારા એક ગ્લોબલ વિલેજ તરીકે માન્યતા મળી છે
અહીંયા રહેતા બધા જ લોકો પોતાને સેવક સમજે છે.
ચેન્નાઇ, 6 સપ્ટેમ્બર,2023,બુધવાર
સંપતિ અને ધર્મને કારણે દુનિયામાં ઝગડા વધી પડયા છે ત્યારે ભારતમાં એક એવું ગામ વસે છે જયાં ધર્મ અને સંપતિનું કશું જ મહત્વ નથી. નવાઇની વાત તો એ છે કે આ શહેરમાં કોઇ પણ પ્રકારની ખેંચતાણ વાદ વિવાદ અને ટંટાફસાદને પણ સ્થાન નથી. સ્વર્ગ જેવી કલ્પનાનો અનુભવ કરાવતા આ શહેરનું નામ ઓરાવિલા છે.આ સ્થળ દક્ષિણ ભારતના મહત્વના શહેર ચેન્નાઇથી ૧૫૦ કીમી દૂર આવેલું છે.
ઓરોવિલે શહેરની સ્થાપના ઇસ ૧૯૬૮માં થઇ હતી. ઓરોવિલેને પ્રભાતના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓરોવિલે શહેર વસાવવાનો હેતું લોકોને જાત પાત અને ઉંચનીચના ભેદભાવોમાંથી મુકત કરવાનો હતો. અહીંયા રહેતા બધા જ લોકો પોતાને સેવક સમજે છે. તે કોઇ પણ ધર્મ સાથે સંબંધ ધરાવતા નથી. અહીંયા કોઇ પણ માણસ આવીને રહી શકે છે પરંતુ તેને માત્ર પોતાને સેવક સમજીને જ રહેવું પડે છે. ઓરોવિલેમાં ૫૦થી પણ વધુ દેશોના લોકો રહે છે.
આ ગામની વસ્તી ૨૪ હજાર જેટલી છે.ઓરોવિલે ગામમાં એક માત્ર મંદિર છે જે પણ કોઇ ધર્મ સાથે સંકળાયેલું નથી.આ ધાર્મિક સ્થળે આવીને લોકો માત્ર યોગ કરે છે.ઓરોવિલેના યુનેસ્કો દ્વારા એક ગ્લોબલ વિલેજ તરીકે માન્યતા મળી છે.ભારત સરકારનું પણ આ અનોખા શહેરને સમર્થન મળેલું છે.આ શહેર કેવી રીતે અને કોને સ્થાપ્યું હશે તેનો વિચાર આવવો પણ સ્વભાવિક જ છે.
ઓરોવિલે કોઇ વ્યકિત વિશેષનું નથી પરંતુ માનવતામાં માનતા બધા જ લોકોનું છે. તેની સ્થાપના અરવિંદો સોસાયટીની એક પરીયોજના તરીકે માતાજી મીરા અલ્ફાસા દ્વારા થઇ હતી. માતાજીની ઇચ્છા માનવ કલ્યાણ માટેની એવી એક વૈશ્વિક નગરીની હતી. આ શહેરની સ્થાપના થઇ ત્યારે ૧૨૪ દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જેમાં ઘોષણા થઇ કે ઓરોવિલા સમગ્ર માનવતાનું સ્મારક છે.