અમેરિકાની આ વાત ન માની એટલે મારી સરકાર પાડી...', શેખ હસીનાના સનસનાટી મચાવતા દાવા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
અમેરિકાની આ વાત ન માની એટલે મારી સરકાર પાડી...', શેખ હસીનાના સનસનાટી મચાવતા દાવા 1 - image


Bangladesh Former PM Sheikh Hasina On America: બાંગ્લાદેશમાં અનામત માટે શરૂ થયેલ આંદોલન બાદમાં હિંસક બની જતા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું હતું અને તેઓ દોશ છોડીને ભાગી ગયા હતા. હાલમાં તેઓ ભારતમાં છે. હવે શેખ હસીનાએ પોતાની સરકારના પતન પાછળ અમેરિકાનો હાથ ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, અમેરિકાને સેન્ટ માર્ટીન ટાપુ ન સોંપવાના કારણે મને સત્તામાંથી હાંકી કાઢવામાં આવી છે, જે તેમને બંગાળની ખાડીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સક્ષમ બનાવે છે. તેમણે બાંગ્લાદેશી નાગરિકોને કટ્ટરપંથીઓથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.

એક અહેવાલ પ્રમાણે પોતાના નજીકના સહયોગીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં હસીનાએ કહ્યું કે, મેં રાજીનામું એટલા માટે આપ્યું છે કે મારે મૃતદેહોનું સરઘસ ન જોવું પડે. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મેં તેની મંજૂરી ન આપી અને મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. જો મેં સેન્ટ માર્ટિન ટાપુની સંપ્રભુતા અમેરિકાને સમર્પિત કરી દીધી હોત અને તેને બંગાળની ખાડીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાની પરવાનગી આપી દીધી હોત તો હું સત્તામાં બની રહી હોત. હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે, કૃપા કરીને કટ્ટરપંથીઓની વાતમાં ન આવો. 

હું ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરીશ..

અહેવાલમાં શેખ હસીનાનો હવાલો આપતા જણાવ્યું કે, જો હું દેશમાં રહી હોત તો વધુ લોકોએ જીવ ગુમાવ્યા પડ્યા હોત અને વધુ સંસાધનો અને જાહેર મિલકતોને નુકસાન થયું હોત. મેં દેશ છોડવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો. હું તમારી નેતા બની કારણ કે તમે મને પસંદ કરી, તમે મારી તાકાત છો. એ જાણીને હું ખૂબ જ દુ:ખી છું કે, મારી પાર્ટી અવામી લીગના ઘણા નેતાઓ માર્યા ગયા છે અને કાર્યકરોને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને આગચંપી થઈ રહી છે. અલ્લાહની કૃપાથી હું ટૂંક સમયમાં પરત ફરીશ. અવામી લીગ પડકારો સામે લડીને વારંવાર ઉભી થઈ છે. હું હંમેશા બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ, જે રાષ્ટ્રનું સ્વપ્ન મારા મહાન પિતાએ જોયું હતું અને તેના માટે પ્રયાસ કર્યા હતા. જે દેશ માટે મારા પિતા અને પરિવારે પોતાનો જીવ આપ્યો છે.

સત્તા પરિવર્તન માટે અમેરિકા જવાબદાર

શેખ હસીનાએ કહ્યું હતું કે, તેઓ લોકશાહીને ખતમ કરવાનો અને એવી સરકાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનું કોઈ લોકતાંત્રિક અસ્તિત્વ જ નહીં હોય. સૂત્રોનો દાવો છે કે કથિત રીતે સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરતી વખતે ઉપદ્રવ મચાવનારા તોફાનીઓ વાસ્તવમાં એ વિદેશી તાકાતના હાથમાં રમી રહ્યા હતા જે બાંગ્લાદેશમાં 'સત્તા પરિવર્તન'ની યોજના બનાવી રહ્યા હતા. હસીનાના નજીકના અવામી લીગના કેટલાક નેતાઓએ પણ ઢાકામાં સત્તા પરિવર્તન માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં ઢાકાની મુલાકાત લેનાર વરિષ્ઠ અમેરિકન રાજદ્વારીનો આની પાછળ હાથ છે. 

ચીન વિરોધી પહેલ માટે અમેરિકાનું દબાણ

અવામી લીગના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, અમેરિકન રાજદ્વારી શેખ હસીના પર ચીન વિરુદ્ધ પહેલ કરવા દબાણ કરી રહ્યા હતા. હસીનાની પાર્ટીના એક નેતાએ બાંગ્લાદેશમાં યુએસ એમ્બેસેડર પીટર હાસ પર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. હાસે જુલાઈમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. અમેરિકી સરકાર માનવ અધિકાર અને ચૂંટણી પ્રક્રિયાને લઈને શેખ હસીના અને તેમની પાર્ટીની સતત ટીકા કરી રહી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વર્ષે જાન્યુઆરીમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી ન હતી કારણ કે, તમામ પક્ષોએ તેમાં ભાગ નહોતો લીધો. 

રશિયાએ ગત વર્ષે જ આપી દીધી હતી ચેતવણી 

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ 15 ડિસેમ્બર 2023ના રોજ અચાનક એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે, જો શેખ હસીના આગામી ચૂંટણીમાં સત્તામાં આવશે તો અમેરિકા તેમની સરકારને ઉખેડી ફેંકવા માટે પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે. તેમણે ચેતવણી આપી હતી કે, બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન લાવવા માટે અમેરિકા 'અરબ સ્પ્રિંગ' જેવી અરાજક સ્થિતિ ઊભી કરશે. તમને જણાવી દઈએ કે એક દાયકા પહેલા પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)માં 'આરબ સ્પ્રિંગ'ની આગેવાની શરૂઆતમાં યુનિવર્સિટી, કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી, જે ટ્યુનિશિયાથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે આ ક્ષેત્રના ઘણા દેશોમાં ફેલાઈ ગઈ હતી.


Google NewsGoogle News