સાયન્સ-ટેક્નોલોજીના અત્યાધુનિક પ્રયોગરૂપ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને રજત જયંતિ ઉજવીઃ 25 વર્ષની ઉજળી સંશોધન કામગીરી

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
સાયન્સ-ટેક્નોલોજીના અત્યાધુનિક પ્રયોગરૂપ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને  રજત જયંતિ ઉજવીઃ 25 વર્ષની ઉજળી સંશોધન કામગીરી 1 - image


- તરિક્ષમાં ગોળ ગોળ ઘૂમતી અદભુત પ્રયોગશાળાનો ટેકનિકલ એક્સ-રે

- પૃથ્વીથી ૪૨૦ કિ.મી.ના અંતરે રહીને અને૨૭,૬૦૦ કિ.મી.ની પ્રચંડ ગતિએ ફક્ત ૯૦ મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા કરે છે 

- અંતરિક્ષયાત્રીઓ ૧૬ વખત સૂર્યોદયનાં અને ૧૬ વખત સૂર્યાસ્તનાં દર્શન કરે છેઃ વિશ્વના ૨૫૦ અંતરિક્ષયાત્રીઓએ સંશોધનાત્મક કામગીરી કરીઃ પૃથ્વીની ૩૫ લાખ ઇમેજીસ મોકલી

વોશિંગ્ટન/મુંબઇ:  ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને (આઇ.એસ.એસ.) ૨૦૨૩ની ૨૦, નવેમ્બરે  તેની અંતરિક્ષ યાત્રાનાં ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે. ૧૯૯૮ની ૨૦ , નવેમ્બરે પૃથ્વીની નીચેની ભ્રમણ કક્ષામાં તરતા મૂકાયેલા ઇન્ટરનેશન  સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટમાં અમેરિકાની  અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા),  યુરોપિયન  સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.), જાપાનની જે.એ.એકસ.એ., સોવિયેત રશિયાની રોસ્કોસ્મોસ, કેનેડાની સી.એસ.એ. એમ  કુલ પાંચ  દેશની અંતરિક્ષ સંશોધન સંસ્થાઓ જોડાયેલી  છે. આઇ.એસ.એસ.માં જોકે  નાસાનું  ટેકનિકલ  યોગદાન વધુ  છે.

આઇ.એસ.એસ. અંતરિક્ષ સંશોધનનો  આંતરાષ્ટ્રીય સહયોગનો  પહેલો સફળ પ્રયોગ છે.આ જ  આઇ.એસ.એસ.ના પ્રયોગોમાં   આ બધા દેશ ઉપરાંત અન્ય દેશનાં  અંતરિક્ષયાત્રીઓ પણ જોડાયા છે.  

નાસાનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કેઆઇ.એસ.એસ.નો મૂળ હેતુ  અંતરિક્ષ સંશોધન સાથે સમગ્ર વિશ્વના દેશ વચ્ચે  રાજકીય સહયોગ અને સમજૂતી વધે  તેવો છે. આમ તો અમે  આ પ્રોજેક્ટ વિશે ૧૯૮૦માં જ કામગીરી શરૂ કરી દીધી હતી.  ૨૦૧૧ સુધીમાં તમામ ટેકનિકલ પાસાં પૂરાં થયાં. ત્યારબાદ પાંચ દેશના મજબૂત સહયોગ સાથે ૨૦૨૩ની ૨૦, નવેમ્બરે વિશ્વનું પ્રથમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરતું મૂકાયું. 

* આઇ.એસ.એસ.નો મૂળ હેતુ કયો છે? નાસાનાં સૂત્રોએ એવી  માહિતી  આપી હતી કે રાજકીય સહયોગ સાથોસાથ અંતરિક્ષમાં માઇક્રોગ્રેવિટી(સુક્ષ્મ ગુરુત્વ)માં લાંબા સમય સુધી રહેવાથી માનવીમાં કેવા કેવા શારીરિક, માનસિક ફેરફાર થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. માનવીના મગજની કુદરતી  ગતિવિધિમાં કેવા  કેવા ફેરફાર  થાય  છે તેનો અભ્યાસ કરવાનો  છે.  એટલે  કે માનવીનાં હાડકાંમાંના પાતળા, સુંવાળા ,સુક્ષ્મ હિસ્સા હોય છે(જેને સરળ  ભાષામાં બોનમારો - હાડકાંનો માવો કહેવાય). આ હિસ્સા જોકે માંસપેશીઓ  જેવા હોય છે.  આ જ  બોનમેરોમાં  અતિ સુક્ષ્મ કોષ પણ હોય છે જે પ્લેટલેટ્સ(માનવીના રક્તમાંના ઘટક) તથા બ્લડસેલ્સ (રક્તકણો) પણ બનાવે છે. એટલે કે માનવીનાં હાડકાંમાંના આ તમામ હિસ્સામાં કેવા કેવા ફેરફાર થાય છે તેનો ગહન અભ્યાસ થાય છે.

માનવીના મગજમાં જે અસાધ્ય અને ગંભીર રોગ થાય છે તેનાં સચોટ નિદાન અને સારવાર વિશે સંશોધન કરવું. અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહીને પૃથ્વીના વાતાવરણનો અને પર્યાવરણનો અભ્યાસ કરવો. પૃથ્વી બહારના અંતરિક્ષમાં કેઅન્ય કોઇ ગ્રહ પર કઇ રીતે  જીવી શકાય તેના વિવિધ પ્રયોગો કરવા. ખાસ કરીને નાસા ૨૦૩૫ના અંત સુધીમાં સૂર્ય મંડળના રાતા ગ્રહ મંગળ પર સમાનવ અવકાશયાન મોકલવા તૈયારી કરે છે ત્યારે પૃથ્વીના માનવી (અંતરિક્ષયાત્રી) ત્યાં વજનહીન અવસ્થામાં કઇ રીતે રહી શકે તેના  પ્રયોગો કરવા. અંતરિક્ષમાં  વધુ સમય સુધી રહેવાથી માનવ શરીર પર કિરણોત્સર્ગ (રેડિયેશન)ની કેવી -કેટલી અસર થાય છે તેનો અભ્યાસ કરવો વગેરે હેતુઓ છે.

* આઇ.એસ.એસ.  ખરેખર  કેવું  છે ? પૃથ્વીથી કેટલા  દૂરના અંતરે છે ? 

*નાસાનાં સૂત્રોએ રસપ્રદ ટેકનિકલ માહિતી આપતાં કહ્યું  હતું કે  આઇ.એસ.એસ. પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં એટલે કે પૃથ્વીથી બરાબર ૪૨૦ કિલોમીટરના અંતરે પ્રવાસ કરી રહ્યું છે. છ બેડરૂમના વિશાળ  બંગલો જેવું આઇ.એસ.એસ. ૨૭,૬૦૦ કિલોમીટર(પ્રતિ કલાક) ની  અતિ તીવ્ર ગતિએ  ૨૪ કલાકમાં પૃથ્વી ફરતે ૧૬ વખત ગોળ ગોળ પ્રદક્ષિણા પૂરી કરી દે છે.એટલે કે ફકત ૯૦ મિનિટમાં પૃથ્વી ફરતે એક ચક્કર પૂરું કરે  છે. આ ગણતરીએ  તેના અંતરિક્ષયાત્રીઓ૧૬ વખત સૂર્યોદય અને ૧૬ વખત સૂર્યાસ્તનાં દર્શન કરી શકે  છે. 

આઇ.એસ.આઇ.નો આકાર હોરીઝેન્ટલ સિલિન્ડર જેવો (અંતરિક્ષમાંથી મળેલા ફોટોગ્રાફ્સના આધારે) છે.

 * આઇ.એસ.એસ.ની લંબાઇ  ૩૫૮ ફૂટ  અને પહોળાઇ ૨૩૯ ફૂટ છે. તેનું કુલ  વજન ૪૫૦,૦૦૦ કિલો છે. તેનું સંચાલન સાત અંતરિક્ષયાત્રીઓ દ્વારા થાય છે.આઇ.એસ.એસ.ની સોલાર પેનલ્સની લંબાઇ ૩૫૬ ફૂટ છે, જે વિશ્વના સૌથી મોટા પેસેન્જર વિમાન એરબસ-એ૩૮૦ની પાંખો(૨૬૨ ફૂટ) કરતાં પણ વધુ મોટી છે.

* સાયન્સ એન્ડ ટેકનોલોજીની અદભુત-અત્યાધુનિક પ્રયોગશાળા જેવા આઇ.એસ.એસ.ના સફળ અને સચોટ સંચાલન માટે ૫૦ કમ્પ્યુટર  સિસ્ટમ ૨૪ કલાક કાર્યરત રહે છે. આઇ.એસ.એસ.માં વિવિધ પ્રકારનાં ૨૦ કરતાં પણ વધુ વૈજ્ઞાાનિક ઉપકરણો છે, જે સંશોધનાત્મક કામગીરી કરે છે. આ અંતરિક્ષ પ્રયોગશાળામાં અત્યારસુધીમાં વિશ્વના ૨૫૦ અંતરિક્ષયાત્રીઓએ હિસ્સો લીધો  છે.

*આઇ.એસ.એસ. દ્વારા અત્યાર સુધીમાં પૃથ્વીની ૩૫ લાખ કરતાં પણ વધુ ઇમેજીસ મોકલી છે. આ અંતરિક્ષ પ્રયોગશાળા ૨૦૩૦ સુધી કાર્યરત  રહે તેવી શક્યતા છે.


Google NewsGoogle News