વિદેશ મંત્રી જયશંકર શ્રીલંકા પહોંચ્યા કચ્છ-થીવું ટાપુનો વિવાદ ઉકેલવા પ્રયત્ન કરશે
- કચ્છ-થીવું ટાપુ ભારતની તળભૂમિથી 20 કિ.મી. જ દૂર છે
- ભારતે 'પાડોશી પહેલો' તે રણનીતિ અપનાવી છે, હિન્દ મહાસાગર અંગે તેની 'સાગર' યોજના સફળ થઈ રહી છે
કોલંબો : ભારતના વિદેશ મંત્રી સુબ્રમન્યમ્-જયશંકર આજે કોલંબો પહોંચ્યા છે. ત્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા તેમજ આર્થિક અને રાજકીય સંબંધમાં વધુ દ્રઢિભૂત કરવા પ્રયત્નો કરવાના છે. પરંતુ મુખ્ય મુદ્દો તો ભારતની તળભૂમિથી માત્ર ૨૦ કી.મી. જ દૂર રહેલા પાલ્કની સમુદ્રધુનિમાં આવેલા માત્ર ૧.૯ ચો.કી.મી.નો કચ્છ-થીવુ ટાપુ બની રહેશે. આ ટાપુ ૧૯૭૪માં તે સમયની કેન્દ્રની કોંગ્રેસ સરકારે શ્રીલંકાને ભેટ આપી દીધો હતો. આ ટાપુ ઘણો નાનો છે પરંતુ પાલ્કની સમુદ્રધુનિમાં પ્રવેશ દ્વારે આવેલો હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું બધુ છે.
આ ઉપરાંત તેઓ શ્રીલંકાના વિદેશ મંત્રી અલિ સાબ્રી તેમજ શ્રીલંકાના પ્રમુખ રેનીલ વિક્રમસિંઘે સાથે પણ મંત્રણા કરશે. જોકે અલિ સાબ્રીએ તો પહેલાં એમ જ કહ્યું હતું કે કચ્છ-થીવુ ટાપુ અંગે તો દાયકાઓ પૂર્વે નિર્ણય લેવાઇ ગયા છે તેથી વધુ ચર્ચાની જરૂર જ નથી.
જયશંકર તેઓની કોલંબો મુલાકાત દરમિયાન ભારતની સાગર (SAGAR) નીતિ વિષે પણ ચર્ચા કરશે. આ નીતિ પ્રમાણે હિન્દ મહાસાગરમાં આવેલા અને હિન્દ મહાસાગરના તટવિસ્તારના દેશોને એક સૂત્રે બાંધવાનો પ્રયત્ન છે. આ સાગર પોલિસીનું સંપૂર્ણ રૂપ (ફુલ-ફોર્મ) આ પ્રમાણે છે. ''સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધી રીજીયન''
મહત્ત્વની વાત તે છે કે ચીન હિન્દમહાસાગર ઉપર ટાંપીને બેઠું છે. તેથી તેણે શ્રીલંકાનાં દક્ષિણનાં કુદરતી બારાં હંબરટોટામાં મથક સ્થાપવા નિર્ણય કર્યો હતો, શ્રીલંકા ચીનના કરબોજ નીચે આવેલું હોઈ તેને તે માટે પરવાનગી આપવી જ પડે તેમ હતી. તે સાથે ભારતે તેને તેની ગંભીર આર્થિક કટોકટી વખતે અને તે પૂર્વે સુનામી સમયે કરેલી સહાય તે ભૂલી શકે તેમ નથી. તેથી તેણે નવો માર્ગ શોધી કોઈપણ વિદેશી સત્તાને શ્રીલંકામાં થાણાં રચાવવા ઉપર ૧ વર્ષ માટે પ્રતિબંધ મુકતાં અત્યારે તો તે વાત અટકી ગઈ છે. કચ્છ થીવુ અંગે પણ જયશંકર સમાધાનકારી યોજના રજૂ કરી શકે તેમ છે.
જયશંકરનું વિમાન મથકે શ્રીલંકાનાં રાજ્ય વિદેશ મંત્રી થરાકા બાલ સૂર્ય અને પૂર્વ પ્રાંતના ગર્વનર સેન્થીલ થોડમનું વિમાન મથકે સ્વાગત કર્યું હતું.