Get The App

VIDEO : ઝેલેન્સ્કીએ ફરી મોટું ઓપરેશન પાર પાડ્યું, 1100 કિલો વિસ્ફોટકથી ઉડાવ્યો પુતિનનો મહત્ત્વનો પ્રોજેક્ટ

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : ઝેલેન્સ્કીએ ફરી મોટું ઓપરેશન પાર પાડ્યું, 1100 કિલો વિસ્ફોટકથી ઉડાવ્યો પુતિનનો મહત્ત્વનો પ્રોજેક્ટ 1 - image


Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધે ફરી ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ભયાનક ડ્રોન હુમલોથી રશિયાના ચાર એરબેઝ નષ્ટ કર્યા બાદ હવે 1100 કિલો વિસ્ફોટક પદાર્થથી રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના મહત્ત્વના પ્રોજેક્ટને ઉડાવી નાખ્યો છે. આમ યુક્રેનની સુરક્ષા સેવા (SBU)એ આજે (3 જૂન) એક અનોખું અને મોટા ઓપરેશન પાર પાડી પુતિનને હચમચાવી નાખ્યા છે.

યુક્રેને અંડરવૉર સપોર્ટ્સ પર વિસ્ફોટકો લગાવી બ્રિજ ઉડાવી દીધો

યુક્રેને રશિયાના ચાર એરબેઝ નષ્ટ કર્યા બાદ હવે પુતિનના મહત્ત્વના પ્રોજેક્ટ ક્રીમિયન બ્રિજને વિસ્ફટકોથી ઉડાવી નાખ્યો છે. આ વખતે તેણે બ્રિજના પાયા એટલે કે અંડરવૉટર સપોર્ટ્સ પર વિસ્ફોટકો લગાવ્યા હતા, જેના કારણે બ્રિજને ગંભીર નુકસાન થયું હોવાના દાવો કરવામાં આવ્યો છે. યુક્રેનની સુરક્ષા સેવાએ કહ્યું કે, ‘બ્રિજને વિસ્ફોટથી ઉડાવી નાખવા માટે 1100 કિલોગ્રામ ટીએમટી વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઓપરેશન પાર પાડવા મહિનાઓ સુધીની મહેનત કરી

લોકલ મીડિયામાં કહેવાયું છે કે, ‘યુક્રેને બ્રિજના અંડરવૉટર સપોર્ટ્સ પર જે વિસ્ફોટકો લગાવ્યા હતા, જે આજે સવારે 4.44 કલાકે વિસ્ફોટ થયા છે. એસબીયુએ કહ્યું કે, આ ઓપરેશન પાર પાડવા માટે તેઓએ મહિનાઓ સુધી મહેનત કરી છે.

પુતિન માટે ક્રીમિયા બ્રિજ કેમ મહત્ત્વનો પ્રોજેક્ટ?

ક્રીમિયન બ્રિજ તરીકે ઓળખાતા ક્રેચ બ્રિજ રશિયા માટે મહત્ત્વનો પ્રોજેક્ટ છે. આ બ્રિજ રશિયા અને ક્રીમિયાને જોડતો એકમાત્ર રોડ અને રેલવે બ્રિજ છે. રશિયાએ 2014માં ક્રીમિયા પર કબજો કર્યા બાદ આ બ્રિજ બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે, રાષ્ટ્રપ્રમુખ પુતિન માટે બ્રિજ એક મહત્ત્વનો પ્રોજેક્ટ મનાય છે. આ બ્રિજ રશિયા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે રશિયાએ આ બ્રિજ દ્વારા જ મોટી માત્રામાં હથિયારો અને સૈનિકોને યુક્રેન તરફ મોકલી રહ્યું છે.

યુક્રેને અગાઉ બે વખત ક્રીમિયન બ્રિજ પર કર્યો હતો હુમલો

ક્રીમિયન બ્રિજ પર યુક્રેને પહેલી વખત હુમલો કર્યો નથી. અગાઉ પણ તેણે બે વખત આ જ બ્રિજ પર હુમલો કર્યો હતો. 8 ઓક્ટોબર-2022માં પુલ પર એક ટ્રકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ભારે આગ લાગી હતી. ત્યારબાદ જુલાઈ 2003માં પણ હુમલો કરાયો હતો, જેમાં બે પુલના હિસ્સા નષ્ટ થઈ ગયા હતા. તે વખતે એસબીયુના પ્રમુખ વસીલ માલિકે હુમલાની પુષ્ટી પણ કરી હતી.

આ દાવા પર રશિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ હુમલા પછી તરત જ બ્રિજ ઓપરેટરે પુલ પરનું ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધું છે. ત્યારબાદ એવી માહિતી સામે આવી છે કે, સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં પરિવહન ફરી શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો : 'અમે કોઈ પણ જાનવરની કુરબાની નહીં આપીએ', મુસ્લિમ દેશનો બકરી ઇદ નિમિત્તે મોટો નિર્ણય

યુક્રેને રશિયાના ચાર એરબેઝ પર કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે, યુક્રેને 'ઓપરેશન સ્પાઇડરવેબ' હેઠળ ખુબ ચાલાકીથી રશિયાના એરબેઝ પર હુમલો કર્યો અને બોમ્બ વરસાવતા વિમાનોને નષ્ટ કર્યા હતા. રશિયાને આ હુમલામાં 200 કરોડ ડોલરનું નુકસાન થયું છે. આ હુમલાનું પ્લાનિંગ એક-દોઢ વર્ષથી કરાયું હતું અને પછી સટીકતાથી તેને અંજામ અપાયો હતો. ટ્રકોથી લોન્ચ કરાયેલા ડ્રોનથી ઓલેન્યા અને બેલાયા સહિતના ચાર રશિયન એરબેઝ પર હુમલા કરાયા હતા. હુમલા બાદ અનેક રશિયન વિમાનો બળીને નષ્ટ થઈ ગયા હતા. એરબેઝને પણ મોટું નુકસાન થયું હતું. યુક્રેનના ડ્રોન હુમલામાં 40થી વધુ વિમાનોને નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલો યુક્રેની સેનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. 

રશિયાએ 472 ડ્રોન અને સાત મિસાઈલથી યુક્રેન પર કર્યો હતો હુમલો

બીજીતરફ યુક્રેનના ભયાનક હુમલાનો રશિયાએ પણ વળતો જવાબ આપ્યો હતો. રશિયાએ શનિવારે  મોડી રાતે ત્રણ વર્ષના યુદ્ધમાં અત્યાર સુધીમાં 472 ડ્રોન અને સાત મિસાઈલથી સૌથી મોટો હુમલો કર્યો હતો. રશિયાએ કીવ સહિત પાંચ શહેરોમાં સતત નવ કલાક સુધી મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા 12 સૈનિકો અને નવ વર્ષની એક બાળકી સહિત બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયાએ યુક્રેનના કીવ, દનિપ્રોપેટ્રોવ્સ્ક, ઝાપોરિજ્જિયા, ઓડેસા અને ખારકીવ જેવા નાગરિક વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો. રશિયન દળોએ ડ્રોનની સાથે સાત મિસાઈલ પણ છોડી હતી. આ હુમલાએ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડયું હતું.  

આ પણ વાંચો : ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ, કોમર્સ સેક્રેટરીએ કહ્યું- હું ભારતનો મોટો ફેન

Tags :