'એટલી મિસાઈલો છોડીશું કે એકપણ દુશ્મન નહીં બચે', પરમાણુ હુમલાની ધમકી પર પુતિનનો હુંકાર
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેમના દેશે એક પરમાણુ ક્રુઝ મિસાઈલનું સફળતાપુર્વક પરીક્ષણ કર્યુ છે
24 ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો પછી રશિયા વારંવાર દુનિયાને તેની પરમાણુ તાકાતની યાદ અપાવે છે
Image Twitter |
તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને (Russian President Putin) કહ્યું કે તેમના દેશે એક પરમાણુ ક્રુઝ મિસાઈલ (nuclear strategic missile) નું સફળતાપુર્વક પરીક્ષણ (testing) કર્યુ છે, તે સાથે એક ચેતવણી આપતા તેમણે કહ્યું કે, દેશની સંસદ પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ લગાવવાની સંધિની મંજુરીને રદ્દ કરી શકે છે. તેમણે આ સંભાવનાને પણ રદ્દ કરવાની મનાઈ કરતા કહ્યુ હતું કે રશિયા ત્રણ દસકાથી વધારે સમયમાં પહેલીવાર પરમાણુ વિસ્ફોટવાળા હથિયાર પરિક્ષણ કરી શકે છે. સોવિયત સંઘના પતનના એક વર્ષ પહેલા, 1990 પછી રશિયાએ પરમાણુ વિસ્ફોટ સાથે જોડાયેલ કોઈ પણ પરિક્ષણ કર્યું નથી.
એટલી મોટી સંખ્યામાં મિસાઈલ છોડશે, કે એક પણ દુશ્મન બચી નહીં શકે: પુતિન
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યુ કે રશિયાએ આંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ સરમાટ પરનું કામ પણ લગભગ પુરુ કરી દીધુ છે અને તેનું ઉત્પાદન કરશે, જે નવી પેઢીના પરમાણુ હથિયારોનો એક ભાગ છે. રશિયાએ ગત. 24 ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો પછી રશિયા વારંવાર દુનિયાને તેની પરમાણુ તાકાતની યાદ અપાવ્યા કરે છે, અને વધુમાં કહે છે કે, સાચા મગજવાળા કોઈ પણ વ્યક્તિ રશિયા વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. તેમણે કહ્યું કે, જો આવા હુમલાઓ વિશે કોઈ માહિતી મળી તો, એટલી મોટી સંખ્યામાં મિસાઈલ છોડશે, કે એક પણ દુશ્મન બચી નહીં શકે.
પુતિનના નિવેદનમાં પહેલીવાર બુરેવેસ્તનિકના સફળ પરીક્ષણ વિશે વાત કરી
તેમણે કોઈ પણ જાતની વિસ્તૃત માહિતી આપ્યા વગર કહ્યું કે, અમે બુરેવેસ્તનિક પરમાણુ વૈશ્વિક રેંજ ક્રુઝ મિસાઈલનું છેલ્લુ સફળ પરીક્ષણ કર્યુ છે. તેમના નિવેદનમાં પહેલીવાર તેમણે બુરેવેસ્તનિકના સફળ પરીક્ષણ વિશે જાહેરાત કરી. બુરેવેસ્તનિકનો શાબ્દિક અર્થ 'તોફાની છોકરો' એવો થાય છે. પુનિતે પહેલીવાર 2018માં આ વિશે વાત કરી હતી.