PM મોદીનો મોરેશિયસ પ્રવાસ: 70 ટકા વસતી મૂળ ભારતીય, હિન્દી જ નહીં ભોજપુરીનો પણ દબદબો
PM Modi Mauritius Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસની મુલાકાત લેશે. PM મોદી 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. આ સમારોહ માટે મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું. પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યા બાદ નવીન રામગુલામે ખુદ સંસદમાં આ બાબતની જાણકારી આપી હતી. ભારત ઘણા સમયથી મોરેશિયસ સાથેના સંબંધ સુધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ મોરેશિયસ ગયા છે.
મોરેશિયસમાં લગભગ 70% વસ્તી ભારતીય મૂળની છે
મોરેશિયસ હિન્દ મહાસાગરમાં સ્થિત એક નાનો ટાપુ દેશ છે. તે આફ્રિકાના દક્ષિણ-પૂર્વ કિનારે મડાગાસ્કરની પૂર્વમાં 800 કિમીના અંતરે આવેલું છે.
મસ્કરેન ટાપુઓનો ભાગ છે. મોરેશિયસની રાજધાની પોર્ટ લુઇસ છે. મોરેશિયસને 12 માર્ચ, 1968ના રોજ બ્રિટનથી આઝાદી મળી હતી. અહીંની વસ્તી લગભગ 12 લાખ છે. તેમાંથી લગભગ 70% વસ્તી ભારતીય મૂળની છે.
ભોજપુરી અને હિન્દીનું ભાષાનું પ્રભુત્વ
મોરેશિયસની સત્તાવાર ભાષા અંગ્રેજી છે, જ્યારે ફ્રેન્ચ અને ક્રેઓલ પણ વ્યાપકપણે બોલાય છે. આ સિવાય અહીં ભોજપુરી અને હિન્દી સહિત ઘણી ભારતીય ભાષાઓ બોલાય છે. મોરેશિયસ આવેલા મોટાભાગના મજૂરો પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી હતા જેઓ ભોજપુરી બોલતા હતા. બસ આ કારણે અહીં ભોજપુરી લોકપ્રિય ભાષા બની ગઈ.
આજે પણ મોરેશિયસમાં લોકો ભોજપુરી સમજે છે અને બોલે પણ છે. મોરેશિયસ ટાઈમ્સની વેબસાઈટના અહેવાલ મુજબ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, મોરેશિયસની કુલ વસ્તી 12 લાખથી વધુ હતી. તેમાંથી 5.3% લોકો ભોજપુરી બોલે છે, જ્યારે 2000ની વસ્તી ગણતરી મુજબ 12.1% લોકો ભોજપુરી બોલે છે. આ ઉપરાંત અહીં ઉર્દૂ, તમિલ અને તેલુગુ પણ બોલવામાં આવે છે.
મોરેશિયસને મિની ભારત કેમ કહેવામાં આવે છે?
મોરેશિયસને મિની ભારત કહેવાનું મુખ્ય કારણ એ છે કે અહીં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. આઝાદી પહેલા યુપી અને બિહારમાંથી મોટી સંખ્યામાં લોકોને મજૂરી માટે અહીં લાવવામાં આવ્યા હતા. આથી મોરેશિયસમાં ભાષા અને બોલી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ભારતીય વસ્ત્રો પહેરીને જોવા મળશે, જે વિદેશમાં મિની ઈન્ડિયા હોવાનો અહેસાસ કરાવે છે.