'અમે વિવાદને વધારવા નથી માંગતા', ભારતના એક્શન વચ્ચે કેનેડાના PM ટ્રૂડોનું મોટું નિવેદન
કેનેડા નવી દિલ્હીની સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાયેલ રહેશે: ટ્રૂડો
અમે ભારતમાં કેનેડિયન પરિવારોની મદદ માટે ત્યાં હાજર રહેવા માંગીએ છીએ: કેનેડા
ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે મંગળવારે (3 ઓક્ટોબર) કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, અમે વિવાદને આગળ વધારવા નથી માંગતા.
જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, કેનેડા ભારત સાથે વિવાદ આગળ વધારવા નથી માંગતું. તેઓ નવી દિલ્હીની સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાયેલ રહેશે. અમે ભારતમાં કેનેડિયન પરિવારોની મદદ માટે ત્યાં હાજર રહેવા માંગીએ છીએ.
ટ્રૂડોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે, ભારત સરકારે કેનેડાને કહ્યું કે, 40 ડિપ્લોમેટ્સ દેશ છોડી દે, નહીંતો રાજદ્વારીને મળતી છૂટ ખતમ કરી દેવાશે. સરકારે 10 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
ગત દિવસોમાં જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતમાં કેનેડાના જરૂરિયાતથી વધુ રાજદૂતો છે, તેવામાં સંતુલન બનાવવાની જરૂર છે.
ભારત અને કેનેડા વચ્ચે કેવી રીતે શરૂ થયો વિવાદ
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ખુલીને વિવાદ સામે આવ્યો છે. કારણ કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ દાવો કર્યો હતો કે, નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોય શકે છે. આ દાવા પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી અને આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, આરોપો રાજનીતિથી પ્રેરિત છે. કેનેડા ઉગ્રવાદીઓ માટે સુરક્ષિત આશરો આપનારું બની ગયું છે. સાથે જ ભારતે કહ્યું કે, અલર્ટ કરવા છતા આવા તત્વો પર કેનેડા સરકારે કાર્યવાહી ન કરી.
એસ.જયશંકરે શું કહ્યું?
વિદેશ મંત્રી એસ. જયશંકરે હાલમાં જ કહ્યું હતું કે, કેનેડિયન લોકોએ કેટલાક આરોપ લગાવ્યા છે. અમે તેમને જણાવ્યું છે કે, આ ભારત સરકારની નીતિ નથી, પરંતુ જો તેઓ અમારી સાથે પ્રાસંગિક સૂચના શેર કરવા માટે તૈયાર છે તો અમે પણ તેના પર વિચાર કરવા માટે તૈયાર છીએ.