ભારતીય પત્રકારે ખાલિસ્તાન પર સવાલ પૂછ્યો તો ટ્રુડો જવાબ આપ્યા વગર ચાલવા માંડ્યા
ઓટાવા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનુ કહ્યા બાદ કેનેડાની પીએમ જસ્ટિન ટ્રુડો હવે આકરા સવાલોનો જવાબ આપવામાંથી બચી રહ્યા છે.
કેનેડાના પીએમ ટ્રડો યુએનની બેઠકમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક સ્થિત યુએનના હેડ કવાર્ટર પહોંચ્યા ત્યારે ભારતીય સમાચાર એજન્સીના પત્રકારે તેમને ખાલિસ્તાન પર સવાલ પછ્યો હતો ત્યારે ટ્રુડો જવાબ આપવાની જગ્યાએ ત્યાંથી બચીને નીકળી ગયા હતા.
એ પછી જ્યારે ફરી તેમને આ જ મુદ્દા પર સવાલ કરવામાં આવ્યો તો તેઓ સવાલનો જવાબ આપવાની જગ્યાએ દોડવા માંડ્યા હતા. સમાચાર સંસ્થાના પત્રકાર યોશીતા સિંહે તો આ અંગેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં ટ્રુડો સવાલનો જવાબ આપવાથી બચતા દેખાય છે.
કેનેડાએ લગાવેલા આરોપ બાદ ભારત સરકાર ઝુકવાના મૂડમાં નથી. ઉલટાનુ ભારતે કેનેડા સામે વધારે આક્રમક વલણ અપનાવીને કેનેડાને તેની જ ભાષામાં જવાબ આપવા માંડ્યો છે.
ભારત અને્ કેનેડા વચ્ચે વધી રહેલા તણાવના કારણે ભારતના અને કેનેડાના મિત્ર એવા પશ્ચિમના દેશો પણ ચિંતિત બની ગયા છે. તેમાં પણ હવે ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનુ બંધ કરવાની જાહેરાત કર્યા બાદ દુનિયાભરમાં બંને દેશોના ટકરાવની ચર્ચા ચાલી રહી છે.