ચીન સામે પાકિસ્તાન ફરી સરેન્ડર, આતંકી હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકો માટે કરોડો રુપિયા વળતર આપશે
ઈસ્લામાબાદ, તા. 19. જાન્યુઆરી. 2022 બુધવાર
ચીનના આર્થિક ગુલામ બની રહેલા પાકિસ્તાન પાસે ચીન પોતાનુ ધાર્યુ કરાવી રહ્યુ છે.
તાજેરતમાં પાકિસ્તાનના એક હાઈડ્રોઈલેક્ટ્રિસિટી પ્રોજેકટ પર કામ કરી રહેલા ચીનના નાગરિકો પર આતંકી હુમલો થયો હતો.જેમાં 10 નાગરિકોના મોત થયા હતા અને 26 ઘાયલ થયા હતા.
ચીને આ બદલ પાકિસ્તાન પાસે વળતર માંગ્યુ હતુ.પાકિસ્તાને આનાકાની કરતા ચીને આ યોજના પર કામ બંધ કરી દેવાની ધમકી આપી હતી.જેની સામે સરેન્ડર થયેલા પાકિસ્તાને હવે આ નાગરિકોને કરોડો રુપિયાનુ વળતર ચુકવવા માટે તૈયારી બતાવી છે.
આ મામલામાં પાકિસ્તાન કાયદાકીય રીતે કોઈ જાતનુ વળતર ચુકાવવા માટે બંધાયેલુ નહોતુ પણ ઈમરાનખાન સરકાર ચીનની ધમકી સામે ઝુકી ગઈ છે અને વળતર આપવાની તૈયારી બતાવી છે.
આ હાઈડ્રો પ્રોજેકટ માટે વિશ્વ બેન્ક પૈસા આપી રહ્યુ છે અને આ યોજના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો હિસ્સો પણ નથી.
ચીની નાગરિકો પરના હુમલાને પહેલા તો પાકિસ્તાને ગેસ લિકેજના કારણે થયેલા બ્લાસ્ટમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હોત પણ ચીન ભડકી ગયુ હતુ અને આ પ્રોજેક્ટ પર કામ બંધ કરવાની ચીમકી આપી હતી.એ પછી પાક સરકારે આ આતંકી હુમલો હોવાનુ સ્વીકાર્યુ હતુ.
ચીને પોતાના નાગરિકોના મોત બદલ 3.7 કરોડ ડોલરના વળતરની માંગણી કરી છે.ખુદ ચીનમાં પણ પોતાના નાગરિકોના મોત બદલ આટલુ વળતર આપવામાં આવતુ નથી.