ભૂકંપ બાદ ભૂસ્ખલનની ચપેટમાં પાકિસ્તાન, 20 ટ્રકો જમીનદોસ્ત, 2ના મોત
- અન્ય આઠ લોકો ઘાયલ થયા
ઈસ્લામાબાદ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર
કંગાળ પાકિસ્તાન ભૂકંપ બાદ હવે ભૂસ્ખલનની લપેટમાં આવી ગયુ છે. આજે સવારે પશ્ચિમ પાકિસ્તાનમાં સરહદી શહેર તોરખામ નજીક એક મોટા હાઈવે પર એક વિશાળ ભૂસ્ખલન થયું હતું જેમાં બે અફઘાન નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત 20 જેટલી ટ્રકો જમીનદોસ્ત થઈ ગઈ હતી.
મંગળવારે વહેલી સવારે અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા ખૈબર પખ્તુનખ્વાના ખૈબરથી પસાર થતા મુખ્ય માર્ગ પર વીજળી પડ્યા બાદ ભૂસ્ખલન થયું હતું જેમાં માલસામાન વહન કરતી અનેક ટ્રકો જમીનદોસ્ત થઈ ગઈ હતી. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં બે અફઘાન નાગરિકોના મોત થયા છે અને તેમના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ખૈબર જિલ્લાના ડેપ્યુટી કમિશનર અબ્દુલ નાસિર ખાનનો હવાલો આપતા જણાવાયું છે કે, ભૂસ્ખલનમાં બે અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને અધિકારીઓ તેમના મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે અને તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. અન્ય અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનનો કાટમાળ ઘણો મોટો હતો અને બચાવ કામગીરીમાં ભારે મશીનરીની મદદ લેવામાં આવી રહી છે.
આ ઘટના પાકિસ્તાનને અફઘાનિસ્તાન સાથે જોડતા મુખ્ય માર્ગ પર બની હતી. અધિકારીઓએ એ પણ માહિતી આપી હતી કે, ભૂસ્ખલન પછી તરત જ આગ ફાટી નીકળી હતી, કારણ કે ટ્રક ડ્રાઈવરો ગેસ સ્ટોવ પર સેહરી માટે ભોજન બનાવી રહ્યા હતા. આગ હવે કાબુમાં આવી ગઈ છે.