પાકિસ્તાન બરાબરનું ફસાયું, ભારતના આક્રોશ બાદ મિત્ર દેશો પાસે માગી મદદ, આપ્યો ઝટકો આપતો જવાબ
India-Pakistan Indus Water Treaty : જમ્મુ-કાશ્મીરમાં પહલગામ 22 એપ્રિલ મંગળવારે ભયાનક ઘટના બની હતી. અહીં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલાબાદ હવે પાકિસ્તાન ભયંકર સંકટમાં ફસાઈ ગયું છે. હુમલાથી ગુસ્સે થયેલા ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ જળ સંધિ અટકાવવા સહિત પાંચ મોટા નિર્ણય લીધા છે, જેના કારણે પાકિસ્તાન ફફડી ગયું છે અને પોતાના મિત્ર દેશો પાસે મદદ માંગવા પહોંચી ગયું છે. વાસ્તવમાં ભારતે આકરા નિર્ણયો લેતા પાકિસ્તાન મિત્ર દેશો પાસે મદદની ભીખ માગી રહ્યું છે, પરંતુ મિત્ર દેશોએ પણ તેને ઝટકો આપતો જવાબ આપી દીધો છે.
ભારતના આક્રોશથી ગભરાઈ પાકિસ્તાને મિત્ર દેશોનો સંપર્ક કર્યો
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, પહલગામ હુમલા મામલે પાકિસ્તાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે મિત્ર દેશોનો સંપર્ક કર્યો છે, જોકે તેને હજુ સુધી કોઈપણ મિત્રનો સાથ મળ્યો નથી. તેના મિત્ર દેશોએ મધ્યસ્થતામાં કોઈ રસ દાખવ્યો નથી. એટલે કે પાકિસ્તાનના મિત્ર દેશોએ તેને એકલો પાડી દીધો છે, જે ઝટકાથી કંઈ કમ નથી.
ભારતને અમેરિકા અને બ્રિટનનો મળ્યો સાથ
પહલગામમાં હુમલા બાદ અમેરિકાએ આતંકવાદીઓને પકડવા માટે મદદ અંગે મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યું છે કે તે આતંકવાદીઓને પકડવામાં ભારતની મદદ કરશે. અમેરિકાના DNI ( નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર ) તુલસી ગબાર્ડે X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે, કે 'આ ભયાવહ ઈસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે દ્રઢતાથી ભારતની પડખે છીએ. પ્રિયજન ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. અમે તમારી સાથે છીએ અને હુમલા માટે જવાબદાર લોકોને ઝડપવામાં સમર્થન કરીશું.'
બ્રિટનના સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. બ્રિટનના સાંસદ બોબ બ્લેકમેને ભારતનું સમર્થન કરતાં એક સશક્ત અને ભાવનાત્મક નિવેદન આપતાં કહ્યું કે ભારત સરકાર હવે જે પણ પગલું ભરવા ઇચ્છે ભલે પછી તે સૈન્ય કાર્યવાહી કેમ ના હોય અમે તેને પૂરેપૂરો ટેકો આપીશું. અમે અહીં દુઃખ વહેંચવા એકઠા થયા છીએ. આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો ગણાય છે. ધાર્મિક આધાર પર નફરતને સાંખી નહીં લેવાય. મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે ભારત જે કોઈ કાર્યવાહી કરે તેને આપણે ટેકો આપવો જોઈએ ભલે પછી એલઓસી પાર કરીને સૈન્ય કાર્યવાહી કેમ ન કરવામાં આવે.
આ પણ વાંચો : VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડ્સ, પિસ્તોલ, રિમોટ... પંજાબ બોર્ડર પાસેથી ઝડપાયા હથિયાર
સંયુક્ત રાષ્ટ્રની સંયમ રાખવાની અપીલ
સંયુક્ત રાષ્ટ્રનું ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અંગે નિવેદન સામે આવ્યું છે. UNએ કહ્યું કે બંને દેશોએ આ પરિસ્થિતિમાં સંયમ રાખવાની જરૂર છે અને આ મુદ્દાનો ઉકેલ શાંતિથી-વાર્તાલાપ કરીને લાવવો જોઈએ. હાલ આ પરિસ્થિતિ ગંભીર છે અને અમારી નજર તેના પર છે.
26 પ્રવાસીઓના મોતથી દેશમાં રોષ
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં આતંકવાદીઓએ ક્રૂરતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. સેનાના વેશમાં આવેલા આતંકીઓે બેસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઇડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કર્યો હતો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે.