હમાસ-ઇઝરાયલ યુદ્ધ જ નહીં નોસ્ટ્રેડેમસે ઘણી એ દિલધડક આગાહીઓ કરેલી છે
- પ્રોફેસીઝ નામનાં પુસ્તકમાં 450 વર્ષ પૂર્વે તેણે રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત માર્સ-મિશન ભારત અને બ્રિટિશ કીંગ વિષે પણ લખ્યું છે
નવી દિલ્હી : માત્ર આરબ- ઇઝરાયલ યુદ્ધ જ નહીં પરંતુ એવી કેટલીએ ચોંકાવનારી ઘટનાઓ વિષે ક્રાંત દ્રષ્ટા નોસ્ટ્રેડેમસે આશરે ૪૫૦ વર્ષ પૂર્વે કેટલીએ ચોંકાવનારી આગાહીઓ કરી છે. ફ્રાંસના તે મહાન ક્રાંતદ્રષ્ટા એક વખત જમીન પર પટકાઈ જતાં તેઓની સિક્સ્થ સેન્સ અચાનક જાગી ઊઠી હતી. અને એક પછી એક આગાહીઓને તેઓએ તેમનાં પ્રોફેસીઝ નામનાં પુસ્તકમાં લખાવી છે. તે આગાહીઓને તેઓએ સેન્ચ્યુરીઝ તેવું નામ આપ્યું છે. આ ફ્રેંચ તત્વચિંતકે આશરે ૪૫૦ વર્ષ પૂર્વે આરબ- ઇઝરાયલ યુદ્ધની આગાહી કરી હતી. જે અત્યારે હમાસ-ઇઝરાયલ યુદ્ધ દ્વારા સાચી ઠરી રહી છે. આ ઉપરાંત તેઓએ રશિયા-યુક્રેન યુદ્ધની આગાહી કરી હતી.
તેઓએ ગ્લોબલ વોર્મિંગ અંગે પણ આગાહી કરતાં કહ્યું હતું કે સૂર્ય એટલો તપશે કે બ્લેક-સીમાં માછલીઓ લગભગ બફાઈ મરશે. બીજી તરફ રોહડસ અને જીનોવા લગભગ અર્ધ-ભૂખ્યા જેવી સ્થિતિમાં આવી જશે. ત્યારે તે માછલીઓ ઉપર જ જીવન ગુજારશે. આમ ૪૫૦ વર્ષ પૂર્વે તેઓએ આવી આગાહી કરી હતી.
તે સમયે તો બ્રિટિશ ઇસ્ટ ઇંડિયા કંપની જ સ્થપાઈ ન હતી. ૧૬મી સદીના પૂર્વાર્ધના છેલ્લા દાયકાઓમાં તો મુઘલ-સલ્તનતનો સૂર્ય તપતો હતો. ત્યારે નોસ્ટ્રેડેમસે આગાહી કરી હતી કે, હિન્દ મહાસાગરમાં આવેલા તે ત્રિકોણાકાર દેશ ઉપર બ્રિટનનું શાસન આવી જશે.
બ્રિટિશ રાજવંશ વિષે તેમણે લખ્યું હતું કે, અચાનક જ પહેલાનું નિધન થશે. પછી જેને રાજા બનશે તેવી કલ્પના પણ નહીં હોય તેવી વ્યક્તિને માથે તાજ પહેરાવાશે. પરંતુ તે પછી વંશ પરંપરાગત શાસન રહેવાની સંભાવના નહીવત છે. કારણ કે જે બીજો રાજા બન્યો હશે તેના સંતાનો 'યોગ્ય' નહીં હોય. આ વિષે વર્તમાન ચિંતકો તેમ માને છે કે, કીંગ ચાર્લ્સ ત્રીજા પછી તાજ પ્રિન્સ હેરીને પહેરાવાશે પરંતુ તેનાં સંતાનો યોગ્ય નહીં હોતાં બ્રિટિશ કીંગ્ડમ ખલાસ પણ થઇ શકે.
આશ્ચર્યની વાત તો તે છે કે, તેઓએ માર્સ-મિશનની પણ આગાહી કરી હતી. તેટલુ જ નહીં પરંતુ પહેલું માર્સ-મિશન નિષ્ફળ જશે તેમ પણ કહ્યું હતું.
સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો તે છે કે તેઓએ ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર્સના ધ્વંસ વિષે લખાવ્યું હતું. તેઓએ લખાવ્યું કે, હું બે ઉંચારા-મીનારા જોઈ રહ્યો છું તેની સાથે જુવો જુવો બે પ્રચંડ પક્ષીઓ અથડાય છે, અને તે મીનારાઓ ધ્વસ્ત થતા દેખાય છે.
(તે સમયે વિમાનો તો શોધાયા જ ન હતાં તેથી જે બે વિમાનો તે ટિવન ટાવર્સ સાથે અથડાયા તેને નોસ્ટ્રેડેમસે વિશાળ પક્ષીઓ કહ્યા હશે.)
એક આગાહીમાં તેઓએ કહ્યું હતું કે, જર્મનીમાં 'હીસ્ટર' (હીટલરને બદલે તેઓએ હીસ્ટર કહ્યો હતો, તેટલી જ તે આગાહીમાં ક્ષતિ હતી.) નામનો એક માણસ સર્વસત્તા હાથ કરશે. તે યહુદીઓ ઉપર જુલ્મ ગુજારશે અને દુનિયાના અનેક દેશો સામે યુદ્ધ કરશે. ૨૦મી સદીનાં ત્રીજા ચરણમાં પૃથ્વી ઉપર તબાહી મચી જશે.
આ મહાન દાર્શનિકની એક આગાહી તો તેટલી ભયંકર છે કે, ૨૦૨૦થી દુનિયામાં અશાંતિ વ્યાપી રહેશે. અને ૨૦૨૪ સુધીમાં તો તે વિનાશક યુદ્ધમાં પરિણમશે. આખરે ૨૦૨૪માં થયેલા લગભગ સર્વનાશ પછી પેલા ત્રિકોણાકાર દેશમાંથી કોઈ નેતા આવશે. જે શાંતિ સ્થપાવશે. તે દેશનું તત્વજ્ઞાાન દુનિયા સ્વિકારશે. આવી અનેક આગાહીઓ નોસ્ટ્રેડેમસે કરી છે. આશા રાખીએ કે તેઓની ભારત વિષેની આગાહી સાચી પડે. તેઓએ તો તેમ કહ્યું હતું કે પછી તે દેશ જગત ગુરૂ બની રહેશે. વિશ્વ શાંતિ સ્થપાશે.