નાઇજીરિયન એરફોર્સની ભયાનક ભૂલ, ડાકુઓને મારવા મિસાઈલો ઝીંકી, 20 નિર્દોષોના મોત
Representative Image |
Nigerian Air Force Airstrikes In Zamfara State : નાઇજીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ડાકુઓને નિશાનો બનાવીને કરેલા એરફોર્સના હવાઈ હુમલામાં ભૂલથી અનેક નાગિરકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, અધિકારીઓ મૃતકોના સચોટ આંકડા જાહેર કર્યા નથી. એક સ્થાનિકના કહેવા મુજબ, તેમણે 20 મૃતદેહની ગણતરી કરી છે, જ્યારે અન્ય 10ની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત, અન્ય સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સ્થાનિક સુરક્ષા ગાર્ડ સહિત ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે.
જમ્ફારા રાજ્યના રાજ્યપાલના પ્રવક્તાએ શું કહ્યું?
ગત રવિવારે જમ્ફારા રાજ્યના રાજ્યપાલના પ્રવક્તાએ કહ્યું હતું કે, 'નાઇજીરીયન એરફોર્સે ગ્રામિણ લોકોની હત્યા કરતા અને અપહરણ કરતા ડાકુઓને નિશાનો બનાવ્યા હતા. આ લોકો મારાદુન અને જુર્મી સ્થાનિક સરકારી વિસ્તારમાં રહે છે. કમનસીબે, તુંગર કારામાં ઓપરેશન દરમિયાન સિવિલ જોઈન્ટ ટાસ્ક ફોર્સ અને લોકલ સર્વેલન્સ ટીમના કેટલાક સભ્યોને ખોટી ઓળખને કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા.'
આ પણ વાંચો: 15 મિસાઈલો તહેનાત, ફ્રાંસ-બ્રિટન સાથે તાબડતોબ બેઠકો: ટ્રમ્પની શપથવિધિ પહેલા ગભરાયું ઈરાન
તેમણે કહ્યું કે, 'એરફોર્સે કહ્યું કે તેમને ઘટના વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે અને નાગરિકની જરૂરી સુવિધાઓમાં થતા કોઈપણ નુકસાનને ઓછું કરવા અને અટકાવવા માટે કામ કરવાનું વચન આપ્યું. એરફોર્સે જણાવ્યું હતું કે તેમના ઓપરેશનમાં ઘણા ડાકુઓને સફળતાપૂર્વક ખત્મ કરી દેવાયા છે અને કેટલાક અપહરણ કરાયેલા પીડિતોને મુક્ત કરવામાં આવ્યા છે.'
2017થી લશ્કરી હવાઈ હુમલામાં લગભગ 400 નાગરિકોના મોત
મીડિયા અહેવાલ મુજબ, તાજેતરના વર્ષમાં એરફોર્સે હથિયારધારી ડાકુઓની ગેંગ વિરુદ્ધમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય નાઇજીરિયામાં હવાઈ હુમલાઓ વધારી દેવાયા છે. જોકે, હવાઈ હુમલામાં ઘણી વખત ભૂલથી નાગરિકોના મોત થયા છે. જેમાં ડિસેમ્બર 2023માં ઉત્તરી કડ્ડના રાજ્યમાં એક ધાર્મિક સભા દરમિયાન 80થી વધુ નાગરિકોનો મોત થયા હતા. એક રિપોર્ટ અનુસાર, 2017થી લશ્કરી હવાઈ હુમલામાં લગભગ 400 નાગરિકો માર્યા ગયા છે.