વિશ્વમાં ગમે ત્યારે મોટી મહામારી આવવાનો દાવો, WHOના પ્રમુખની ચેતવણીથી વધી ચિંતા
WHO New Pandemic Warning : વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે દુનિયામાં વધુ એક મોટી મહામારી આવવાનો દાવો કરી વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. તેમણે દાવા સાથે ચેતવણી આપી છે કે, વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત છે. હેલ્થ સ્ટડીમાં કરાયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે, ગમે ત્યારે મોટી મહામારી આવવાનો ખતરો છે. તેમણે ડબલ્યુએચઓની બેઠકમાં બોલતા કહ્યું કે, ‘આગામી સમયમાં કોઈપણ સમયે ગમે ત્યાં વૈશ્વિક સંકટ આવી શકે છે. આ સંકટ આવવામાં 20 વર્ષ પણ લાગી શકે છે અને કદાચ આવતીકાલે પણ આવી શકે છે.’
‘આગામી મહામારી માટે તૈયાર રહો’
તેમણે આગામી મહામારી માટે વિશ્વને તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભૌગોલિક રાજકીય સ્થિતિ અને આર્થિક સંકટ કોરોના મહામારીની યાદ અપાવી રહ્યા છે. આપણે આગામી મહામારી માટે તૈયાર રહેવું જોઈએ. આગામી મહામારી 20 વર્ષ બાદ અથવા આવતીકાલે પણ આવી શકે છે. કોરોના મહામારીમાં સરકારી આંકડા મુજબ 70 લાખ લોકોના મોત થયા હતા, જોકે તેનો વાસ્તવિક આંકડો બે કરોડથી વધુ હોઈ શકે છે. વૈશ્વિક મહામારીના કારણે અર્થવ્યવસ્થાને 10 હજાર અબજ ડૉલરનું નુકસાન થયું હતું.
મહામારી મુદ્દે અન્ય દેશો સાથે સમજુતી કરવાની જરુર
તેમણે વધુમાં કહ્યું કે, ‘આગામી મહામારીને ધ્યાને રાખી અન્ય દેશો સાથે મહામારી અંગે ચર્ચા કરવાની તેમજ સમજૂતી કરવાની જરૂર છે. જેથી વૈશ્વિક સ્તરે સરકારો રોગચાળાનો સામનો કરવા માટે એક વ્યૂહરચના માટે વૈશ્વિક ભાગીદારી દ્વારા બંધાયેલી રહે. આપણે વિશ્વભરની સરકારોને સાથે સમજૂતી કરવા આગળ વધવું જોઈએ અને સાર્વત્રિક સર્વસમાવેશક કરાર કરવો જોઈએ. તેમણે ડબલ્યુએચઓની બેઠકમાં આવેલા દેશના તમામ પ્રતિનિધિઓને અપીલ કરી છે કે, આપણે હવે આ સમજૂતીને અંતિમ રૂપ આપવાની જરૂર છે, તેથી તમે સર્વસંમતિથી કરાર માટે તૈયાર થઈ જાઓ.
આ પણ વાંચો : ગાઝા પર હુમલા વચ્ચે ઈઝરાયલના 1000 સૈનિકોનો બળવો, નેતન્યાહૂ સરકારે હાથ ધરી કાર્યવાહી