ભારતના આ પડોસી દેશમાં માત્ર મુસ્લિમોને મળે છે નાગરિકતા, પણ આ દેશ પાકિસ્તાન નથી તો જાણો તે કયો દેશ છે?
માલદીવનું બંધારણ કહે છે માત્ર ઇસ્લામમાં માનતા એટલે કે મુસ્લિમોને જ માલદીવની નાગરિકતા મળે છે
આ ઉપરાંત 2008ના બંધારણમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંનો રાજધર્મ સુન્ની ઇસ્લામ હશે
Muslims get citizenship: માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઈઝે ભારત વિરુદ્ધ ચીનની ભાષા બોલવાનું શરુ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યાના પહેલા જ દિવસે માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવાનું કામ કરશે. માલદીવના નવા રાષ્ટ્રપતિ ચીનને ખુલ્લેઆમ સમર્થન આપવા માટે જાણીતા છે. તેમણે ખાનગી ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેઓ ભારતીય સૈનિકોને માલદીવમાંથી પાછા હટી જવાની વિનંતી કરશે કારણ કે તે તેમની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. ત્યારે જોઈએ શું છે માલદીવનું બંધારણ અને દેશના નીતિનિયમ.
જયારે પણ ભારતના મુસ્લિમ પડોસી દેશની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ પાકિસ્તાન યાદ આવે છે. પણ આજ પાકિસ્તાનની નહિ પરંતુ વાત માલદીવની કરવાની છે. માલદીવ એશિયાનો સૌથી નાનો દેશ છે. જેનું ક્ષેત્રફળ 298 વર્ગ કિલોમીટર છે.
માલદીવની જનસંખ્યા કેટલી?
તેની જનસંખ્યાની વાત કરવામાં આવે તો 2016 મુજબ તેની આબાદી 4 લાખ 28 હજાર જેટલી હતી. પરંતુ 2021માં તેની જનસંખ્યા 5.21 લાખ જેટલી થઇ હતી. માલદીવમાં આશરે 212 દ્વીપ છે, જેમાંથી 200 દ્વીપ ત્યાંના લોકોના વસવાટ માટે છે, જયારે 12 દ્વીપ પ્રવાસીઓ માટે રાખવામાં આવ્યા છે.
ભારતીયો ત્યાં કેવી રીતે જઈ શકે છે?
ભારતીય જો માલદીવ જવા ઈચ્છે છે તો તેમને ત્યાંના વિઝાની જરૂર નથી. માલદીવ જતા લોકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે. જેથી તમને એરપોર્ટ પરથી જ 30 થી 90 દિવસના વિઝા મળી શકે છે.
ઇસ્લામ બાબતે શું છે કાનુન?
માલદીવના બંધારણ મુજબ ઇસ્લામમાં માનનારા કે મુસ્લિમોને જ માલદીવ્સની નાગરિકતા મળી શકે છે. આ ઉપરાંત 2008ના બંધારણમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંનો રાજધર્મ સુન્ની ઇસ્લામ હશે. આ બંધારણમાં એવો પણ ઉલ્લેખ છે કે ગૈર-મુસ્લિમને આ દેશની નાગરિકતા આપવામાં આવશે નહિ. તેમજ અહીની સરકારના નિયમો પણ ઇસ્લામી કાયદાઓ પર જ બનાવવામાં આવે છે.