મુઈઝ્ઝુની સાન ઠેકાણે આવી : ભારત પાસે દેવામાં રાહતની માંગ કરી
- ચીનના પીઠ્ઠુ માલદિવ્સના પ્રમુખ ભારત વિરોધી વલણ માટે જાણીતા
- માલદિવ્સે વર્ષાંતે ભારતને 40 કરોડ ડોલરના દેવાની ચૂકવણી કરવાની હોવાથી પ્રમુખ પ્રશંસા કરવા લાગ્યા
માલે : ભારત વિરોધી ઉચ્ચારણોના પગલે હવે ભારતને દેવુ ચૂકવવાનો સમય આવતા ચીનના પીઠ્ઠુ માલદિવ્સના પ્રમુખ મુઇઝ્ઝુની સાન ઠેકાણે આવી ગઈ છે. તેમણે આ વર્ષના અંતે ભારતને ચૂકવવાના થતા ૪૦ કરોડના દેવામાં રાહત માંગી છે. તેમણે ભારત તેમના ગાઢ સહયોગી તરીકે જારી રહેશે તેમ જણાવ્યું છે. તેમણે ભારતીય સૈનિકોને માલદિવ્સમાંથી દૂર કરવા પર સતત ભાર મૂક્યો હતો.
માલદિવ્સના પ્રમુખ મુઇજ્જુએ ગયા વર્ષે નવેમ્બરમાં પ્રમુખપદના શપથ લીધા પછી સતત ભારત વિરોધી અને ચીન તરફી વલણ દાખવ્યું છે. તેમણે પ્રમુખપદ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ભારત પ્રત્યેનું તેમનું આકરું વલણ દર્શાવતા ભારતીય સૈનિકા ત્યાંથી પરત આવે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે દસ મે સુધીમાં ભારતના બધા લશ્કરી કર્મચારીઓ પરત જાય તે માટેની ડેડલાઇન સેટ કરી છે.
ગુરુવારે તેમણે જણાવ્યું હતું કે ભારત માલદિવ્સને સહાય પૂરી પાડવામાં આગળ રહ્યુ છે અને કેટલાય પ્રોજેક્ટ્સનું અમલીકરણ કર્યુ છે. ભારત માલદિવ્સના ગાઢ સહયોગી તરીકે જારી રહેશે. તેમા કોી સવાલ જ નથી. મુઇઝ્ઝુએ માંગ કરી હતી કે ત્રણ ભારતીય એવિયેશન પ્લેટફોર્મ પરથી બધા ૮૮ લશ્કરી કર્મચારીઓ દસ મે સુધીમાં પરત ફરે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોથી બે હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા માલદિવ્સને માનવીય સહાય પૂરી પાડી હતી. આ માટે બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો. માલદિવ્સ ભારતના લક્ષદ્વીપના મિનિકોય ટાપુથી ૭૦ નોટિકલ માઇલ દૂર છે અને મુખ્ય જમીનથી ૩૦૦ નોટિકલ માઇલ દૂર છે.