માલદીવની સાન ઠેકાણેઃ મુઈજ્જુએ ચીનનો સાથ છોડીને ભારત પાસે માગી મદદ, જાણો કેમ બદલાયું વલણ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
માલદીવની સાન ઠેકાણેઃ મુઈજ્જુએ ચીનનો સાથ છોડીને ભારત પાસે માગી મદદ, જાણો કેમ બદલાયું વલણ 1 - image
Image Twitter 

Maldives turned towards india : ભારતના પાડોશી દેશ માલદીવની સાન ઠેકાણે આવી ગઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પોતાના શરુઆતના કાર્યકાળમાં ભારત વિરોધી વલણ ધરાવતા હતા, જે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ હવે તેઓ ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવતા જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પછી ભારતની કૂટનીતિની અસર માલદીવમાં પણ જોવા મળી રહી છે. 

માલદીવના સ્વતંત્રતા દિવસ પર ભારતનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો

એક સમયે સત્તા પર આવ્યા પછી મુઈજ્જુએ ભારતનો પ્રભાવ ખત્મ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારે હવે તેઓ ભારતના વખાણ કરી રહ્યા છે. હાલમાં જ  માલદીવના સ્વતંત્રતા દિવસ પર ભારતનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. થોડા સમય પહેલા જ મુઈજ્જુએ માલદીવમાં ભારતીય સૈનિકો અને ભારત દ્વારા પૂરા પાડવામાં આવતા ડોર્નિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની હાજરી પર સવાલો ઉઠાવ્યા હતા. અને ભારત આ વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા માલદીવ પર નજર રાખવામાં આવી રહી છે તેવો આરોપ લગાવ્યો હતો. 

જો કે, હવે તેમણે ભારતીય ટેકનિશિયનોની મદદથી આ વિમાનો અને હેલિકોપ્ટરને સંચાલન ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એટલે આ વલણ માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેત કહી શકાય છે. 

પ્રવાસન ઉદ્યોગ પર માલદીવની નિર્ભરતા

એક વાત મહત્ત્વની છે કે, માલદીવની મોટાભાગની અર્થવ્યવસ્થા પ્રવાસન ઉદ્યોગ પર નિર્ભર છે. તેમજ દેશમાં ભારતીય પ્રવાસીઓનું મોટું યોગદાન રહ્યું છે, પરંતુ મુઈજ્જુના ભારત વિરોધી વલણને કારણે ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં એકાએક ઘટાડો થયો હતો. હવે માલદીવના પ્રવાસન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે 'વેલકમ ઈન્ડિયા' પહેલ શરૂ કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પ્રવાસીઓને ફરી આમંત્રણ આપી પરત લાવવાનો છે.

ચીનનો પ્રભાવ અને માલદીવની ચિંતા

આમ તો, મુઈજ્જુની સરકાર ચીન નજીક હોવા છતાં તાજેતરમાં ભારત તરફ ઝુકાવ દર્શાવ્યો છે. મુઈજ્જુના ચીન સાથે ગાઢ સંબંધો હોવા છતાં ચીન પાસેથી ઉધાર લેવું,  તે હવે માલદીવ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ચેતવણી આપી છે કે માલદીવ ચીનના દેવાની જાળમાં ફસાઈ શકે છે. ચીન પાસેથી લોન લેવા છતાં માલદીવ પાસે તેમને ચૂકવવાની ક્ષમતા નથી. જેના કારણે મુઇઝુ સરકારની સ્થિતિ કમજોર પડી ગઈ છે. 

ભારત સાથે આર્થિક સહયોગ ઈચ્છે છે માલદીવ 

માલદીવે ભારત સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની ઓફર કરી છે. આ દરખાસ્ત હેઠળ માલદીવના ઉત્પાદનો જ્યારે ભારતમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના પર કોઈ નિકાસ જકાત લાગશે નહીં. મુઈજ્જુએ માલદીવના દેવાની ચુકવણીની સુવિધા આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.

નવા સંબંધો તરફ પગલાં

મુઈજ્જુના સત્તામાં આવ્યા બાદ માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં એક તિરાડ પડી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન મુઇઝુને સમજાયું છે કે, ભારત સાથે દુશ્મનાવટ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય નેતાઓને મળીને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


Google NewsGoogle News