બે મહિનામાં 10000 કરતા વધારે યુક્રેની સૈનિકોએ શરણાગતિ સ્વીકારી, રશિયન સેનાનો દાવો
image : Twitter
મોસ્કો,તા.3 ઓક્ટોબર 2023,મંગળવાર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં અત્યાર સુધીમાં હજારો યુક્રેની સૈનિકોએ રશિયા સમક્ષ સરેન્ડર કરી દીધુ છે. છેલ્લા બે મહિનામાં 10000 કરતા વધારે યુક્રેની સૈનિકોએ હથિયાર હેઠા મુક્યા હોવાનો દાવો રશિયાએ કર્યો છે.
રશિયન સેનાના અધિકારીઓના કહેવા પ્રમાણે મોટા સમૂહમાં સૈનિકો શરણાગતિ સ્વીકારી રહ્યા છે. સરેન્ડર કરનારા સૈનિકો હથિયારો પણ રશિયન સેનાને સુપરત કરી રહ્યા છે. રશિયન અધિકારીઓના કહેવા પ્રમાણે સરેન્ડર કરનારા સૈનિકો સાથે યોગ્ય વર્તાવ કરવામાં આવી રહ્યો છે. તેમની તેમના પરિવાર સાથે વાત પણ કરાવવામાં આવી રહી છે. જેથી પરિવારજનોને ખબર પડે કે સૈનિકો જીવે છે અને રશિયન સેના પાસે સુરક્ષિત છે.
જોકે રેડિયો પર કરાવાતી વાતના કારણે યુક્રેન સૈન્યમાં પણ આ વાત ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે એવો સંદેશ જઈ રહ્યો છે કે, સૈનિકોએ જીવતા રહેવુ હશે સરેન્ડર કરવુ પડશે.
શરણાગતિ સ્વીકારવા માટે આગળ આવી રહેલા યુક્રેનના સૈનિકો પાછળનુ કારણ એછે કે, છેલ્લા કેટલાક સમયથી યુક્રેનમાં મોટા પાયે એવા લોકોની ભરતી કરાઈ છે જેમને યુધ્ધનો કે સૈન્યનો કોઈ અનુભવ નથી. પોતાનો જીવ બચાવવા માટે તેઓ મોરચા પર જઈને સામેથી જ રશિયન સેનાનો સરેન્ડર કરવા માટે સંપર્ક સાધે છે. આ સિવાય એક મોટો વર્ગ એવા લોકોને પણ છે જે યુક્રેનના હોવા છતા રશિયાના સમર્થક છે.
રશિયન સેનાનો તો દાવો છે કે, સરેન્ડર કરનારા કેટલાક સૈનિકો તો અમારી સાથે યુક્રેન સામે લડી રહ્યા છે.