મહોબ્બત નામા નહીં મજબૂરી હતી : મોદીને મોડેથી પણ આપેલા ''અભિનંદન'' માટે શહબાઝ શરીફની સફાઈ

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
મહોબ્બત નામા નહીં મજબૂરી હતી : મોદીને મોડેથી પણ આપેલા ''અભિનંદન'' માટે શહબાઝ શરીફની સફાઈ 1 - image


- પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ખુલ્લા મને અભિનંદનો આપ્યા : સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે તો પી.એમ. મોદી સામે ઝેર ઓક્યું

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીના ત્રીજા વિજય માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે મોડા મોડા પણ છેવટે અભિનંદનો આપ્યા. પરંતુ તે પછી થોડા જ સમયમાં પાકિસ્તાન તેના જુના ''રંગ''માં આવી ગયા. આ અભિનંદનો અંગે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કહ્યું હતું કે આ વધાઈને ''પ્યારનો પ્રૈગામ'' ન સમજતા, પ્રરંતુ રાજદ્વારી રસમને લીધે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓએ વધાઈ આપી છે. તે તેઓની મજબૂરી જ હતી.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના પ્રોગ્રામ ''કેપિટલ-ટોક''માં બોલતા ખ્વાજા આસીફે કહ્યું : ''એ સંદેશ એક ઔપચારિક સંદેશ હોય છે. રાજદ્વારી મજબૂરી હોય છે.'' અને તેને નરેન્દ્ર મોદીને કહ્યું ''મહોબ્બત-નામા'' લખ્યું છે ? તે સાથે ઝેર ઓકતા તેણે કહ્યું : ''પાકિસ્તાન તે કદી નહીં ભુલે કે નરેન્દ્ર મોદી ભારતના મુસલમાનોના કાતિલ છે. તેમની સંપૂર્ણ રાજકીય વ્યૂહરચના જ મુસલમાનો વિરૂદ્ધ રહી છે. જ્યારે શહબાઝ શરીફ આવ્યા (વડાપ્રધાન થયા) ત્યારે તેમણે મુબારકબાદી આપી હતી. તેથી (મોદીને) મુબારકબાદી આપી છે.''

આ પ્રોગ્રામમાં ઈમરાનખાનની પાર્ટી પીટીઆઈના નેતા ગૌહર ખાને પણ મોદીને અપાયેલી વધાઈ અંગે ટીકા કરતા કહ્યું કે અમારે અનુચ્છેદ ૩૭૦ અંગે ભારત સાથે વિવાદ રહેવાનો જ છે. ભારતના મુસલમાનોએ આ ચુંટણીમાં મોદીને ''રીજેક્ટ'' કરી દીધા છે. ભાજપ તરફથી એક પણ મુસલમાન (મંત્રી મંડળમાં) સામેલ કરાયો નથી.

બીજી તરફ પાકિસ્તાન-મુસ્લીમ-લીગ (નવાઝ)ના પ્રમુખ અને પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને મન ખોલીને વધામણાં આપ્યા હતા. તેઓએ ઠ પોસ્ટ પર લખ્યું : ''ત્રીજી વખત પદ સંભાળવા માટે મોદીજી આપને મારી શુભ-કામનાઓ. ચુંટણીમાં આપણી પાર્ટીની સફળતા દેખાય છે. આપના નેતૃત્વમાં જનતાનો વિશ્વાસ કાયમ છે. આપણે નફરતને ઉમ્મીદમાં બદલી દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભવિષ્યને આકાર આપવાનો આ અવસરે લાભ ઉઠાવીએ.''


Google NewsGoogle News