ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, RAW પર પ્રતિબંધ મૂકો, અમેરિકામાં ઊઠી માગ
USCIRF demand ban on RAW : ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ લગાવતા યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે(USCIRF) તેના વાર્ષિક અહેવાલમાં ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કમિશને આરોપ લગાવ્યો હતો કે શીખ ભાગલાવાદીઓની હત્યામાં RAWની ભૂમિકા હતી.
પીએમ મોદી અને ભાજપ સામે ગંભીર આક્ષેપ
યુએસ કમિશનના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઊભા કરવાનો પ્રયાસ કરાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2024માં ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સામે હુમલા અને ભેદભાવમાં વધારો થયો છે. રિપોર્ટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે ગયા વર્ષની ચૂંટણી દરમિયાન મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ નફરતભર્યા ભાષણનો ઉપયોગ કરવા અને અફવાઓ ફેલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
ભારતને નક્કર પગલાં ભરવા અપીલ
આ સાથે યુએસ કમિશને ભારત સરકારને ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને ધાર્મિક ઉત્પીડનને રોકવા માટે નક્કર પગલાં લેવા અપીલ કરી. કમિશને ખાસ કરીને ભારતીય નાગરિકતા કાયદા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. આ ઉપરાંત કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાની પણ ટીકા કરવામાં આવી હતી.