સીરિયામાં અસદના 24 વર્ષના શાસનનો અંત: વિદ્રોહીઓએ કઈ રીતે જોતજોતાંમાં રાજગાદી પર કર્યો કબજો?
Syria Civil War: સીરિયા હવે અસદ રાજથી આઝાદ થઈ ચૂક્યું છે. સીરિયાની રાજધાની દમિશ્કમાં બળવાખોરોએ કબજો કરી લીધો છે. સેનાએ બળવાખોરો સામે નમતું મૂક્યું છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ પલાયન કરી જઈ રહ્યા હતા, ત્યાં તેમનું પ્લેન ક્રેશ થયુ હોવાના અહેવાલો પણ મળ્યા છે. સીરિયાના આર્મી કમાન્ડરે અસદ સરકારના અંતની જાહેરાત કરી છે. સીરિયાના બળવાખોરોએ જાહેરાત કરી હતી કે, બશર અલ-અસદ રાજધાની છોડી ભાગી ગયા છે.
મલિટ્રી ઓપરેશન્સ કમાન્ડે ટેલિગ્રામ પર એક પોસ્ટ કરી હતી કે, અમે તાનાશાહ બશર અલ-અસદથી દમિશ્કને આઝાદ કરાવ્યું હોવાની જાહેરાત કરીએ છીએ. વિશ્વભરમાં વિસ્થાપિત થયેલા તમામ લોકો માટે એક આઝાદ સીરિયા તમારી રાહ જોઈ રહ્યું છે. અગાઉ બળવાખોરોએ રાજધાનીમાં ઘૂસી દમિશ્કના ઉત્તરમાં કુખ્યાત સૈદનાયા સૈન્ય જેલ પર નિયંત્રણ કર્યો હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ સીરિયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાલીએ નિવેદન આપ્યું હતું કે, સરકાર લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા કોઈપણ નેતૃત્વની સાથે સહયોગ કરવા તૈયાર છે. હું સત્તા સોંપવા માટે તૈયાર છે.
સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચાડવા અપીલ
ગાઝી અલ-જલાલીએ અપીલ કરી હતી કે, અમે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા કોઈપણ નેતૃત્વને સમર્થન આપવા તૈયાર છીએ. સરકારી કામકાજ એક સુચારૂ અને વ્યવસ્થિત બદલાવ સુનિશ્ચિત કરતાં રાજ્યની સુવિધાઓને સંરક્ષિત રાખવા તમામ સંભવિત સહાયતા કરે છે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશો નહીં, તે તમામ નાગરિકોની છે. હું મારા ઘરે જ છું, ક્યાંય ગયો નથી. હું દેશ છોડવાનો નથી. શાંતિપૂર્ણ રીતે જાહેર સંસ્થાઓ, રાજ્યની સુવિધાઓના સંચાલન અને તમામ નાગરિકોની સુરક્ષા માટે હું અહીં જ છું.
આ પણ વાંચોઃ સીરિયાના રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ થતા મૃત્યુનો દાવો! બળવા બાદ દેશ છોડી ભાગી રહ્યા હતા
બળવાખોરના નેતાએ કરી માંગ
સીરિયાના સશસ્ત્ર વિપક્ષના નેતૃત્વ હેઠળનું મુખ્ય બળવાખોર જૂથ હયાત તહરીર અલ-શામના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ બળવાખોરોને રાજ્યની સંસ્થાઓને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે કે, દમિશ્ક શહેરના તમામ સૈન્ય દળો માટે, જાહેર સંપત્તિઓનો સંપર્ક કરવા પર પ્રતિબંધ છે, જ્યાં સુધી આ સંપત્તિઓ સત્તાવાર રીતે સોંપવામાં ન આવે ત્યાં સુધી તે વડાપ્રધાનની દેખરેખ હેઠળ છે. તેમજ હવામાં પણ ગોળીબાર ન કરવા અપીલ કરી છે.
હવે આગળ શું?
બશર અલ અસદના પલાયન બાદ સીરિયા હવે બળવાખોરોના કબજામાં છે. તેઓ પોતે જ સરકાર ચલાવશે તેમજ વડાપ્રધાન પદ માટે અલ-જલાલીને આગળ કરશે. કારણકે, વડાપ્રધાને સરેન્ડર કર્યું છે. આર્મી પણ હવે લડાઈના મૂડમાં નથી. બીજો વિકલ્પ એ છે કે, હયાત તહરીર અલ-શામના નેતા અબૂ અલ મોહમ્મદ જુલાની સીરિયાની કમાન પોતાના હાથમાં લઈ શકે છે. તેમણે અસદની સત્તાનો પલટો કરાવ્યો છે. તે હવે સીરિયાના તાકતવર નેતા બન્યા છે.
આ પણ વાંચોઃ સીરિયામાં બળવાખોરોએ કર્યો સત્તાપલટો, બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!
24 વર્ષના શાસનનો અંત
બશર અલ અસદ છેલ્લા 24 વર્ષથી સીરિયા પર રાજ કરી રહ્યા હતા. સીરિયાની સત્તા તેમને વારસામાં મળી હતી. તેમના પિતા અલ અસદ હાફેજે 29 વર્ષ સુધી સીરિયા પર શાસન કર્યું હતું. તેમની સરકાર રશિયા અને અન્ય દેશોના સમર્થનમાં ચાલી રહી હતી. પરંતુ અબૂ જુલાનીના વિરોધે તેમની સત્તાનો અંત આવ્યો છે.