પાકિસ્તાનમાં પણ જન્માષ્ટમીની ઝાકમઝોળ, મંદિરોની સંખ્યા ઘટી હોવા છતાં અનેરો માહોલ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
Pakistan Krishna Temple


Janmashtami Celebration In Pakistan: જન્માષ્ટમીનો તહેવાર ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે પાડોશી દેશ પાકિસ્તાનમાં જન્માષ્ટમીની કેવી રીતે ઉજવણી થાય છે.

શું પાકિસ્તાનમાં જન્માષ્ટમી ઉજવાય છે?

પાકિસ્તાન, જે હિન્દુ મંદિરો પર હુમલાઓ અને મંદિરોની ઘટતી સંખ્યા માટે અવારનવાર સમાચારોમાં રહે છે, ત્યાં ઘણા કૃષ્ણ મંદિરો છે. પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવે છે. ભારતની જેમ અહીં પણ લોકો રાત્રે કૃષ્ણ મંદિરોમાં જાય છે. પાકિસ્તાનમાં અમરકોટમાં દર વર્ષે જન્માષ્ટમી ઉજવણીની તસવીરો જાહેર કરવામાં આવતી હોય છે. વાસ્તવમાં, આ તે વિસ્તાર છે જ્યાં 52 ટકાથી વધુ વસ્તી હિન્દુઓ છે. ભારતની જેમ અહીં પણ હિન્દુ મંદિરોને શણગારવામાં આવે છે અને લોકો મંદિરોની મુલાકાત લે છે. ઉપરાંત, જન્માષ્ટમી પર બાળકોને ભગવાન કૃષ્ણના પોશાક પહેરાવવામાં આવે છે અને લોકો ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરે છે. અમરકોટમાં હિન્દુઓ દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પરંતુ પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હિન્દુઓને કોઈ પણ તહેવાર ઉજવવો મુશ્કેલ લાગે છે.

અગાઉ જન્માષ્ટમીની ઉજવણી કરી રહેલા હિન્દુઓ પર હુમલાના સમાચાર આવ્યા હતા. વર્ષ 2021માં પાકિસ્તાનમાં સિંધના ખીપ્રોમાં મંદિર પર હુમલાના સમાચાર આવ્યા હતા. જો કે, પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટના ત્યાંના લોકો માટે સામાન્ય છે.

પાકિસ્તાનમાં કૃષ્ણ મંદિરો કેટલા છે?

પાકિસ્તાનના મંદિરોમાં અનેકવાર તોડફોડ કરવામાં આવે છે. ઘણા અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્યા છે અને કેટલાક મંદિરોને અન્ય ઇમારતોમાં ફેરવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે 1947માં આઝાદી દરમિયાન પાકિસ્તાનમાં 300થી વધુ હિન્દુ મંદિરો હતા અને હવે તેની સંખ્યા ઘટીને 50થી પણ ઓછી થઈ છે.

પાકિસ્તાની મીડિયા હાઉસના રિપોર્ટ અનુસાર, અગાઉ પાકિસ્તાનના નોરોવાલ વિસ્તારમાં ઘણા હિન્દુ મંદિરો હતા, પરંતુ વર્ષ 2023માં આ સંખ્યા શૂન્ય થઈ છે. હવે અહીંના હિન્દુઓને પૂજા, ધાર્મિક વિધિ, લગ્ન વગેરે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, તેમ છતાં આ વિસ્તારમાં 1000થી વધુ હિન્દુઓ રહે છે. જો આપણે કૃષ્ણ મંદિરોની વાત કરીએ તો પાકિસ્તાનમાં લાહોર, રાવલપિંડી, ઇસ્લામાબાદ, કરાચી વગેરેમાં કૃષ્ણ મંદિરો છે. તેમજ કેટલાક અહેવાલો અનુસાર એબોટાબાદનું કૃષ્ણ મંદિર અને હરિપુરનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે.

ઈસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરને લઈને વિવાદ

ઇસ્લામાબાદમાં એક કૃષ્ણ મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2020માં, હિંદુ સમુદાયને ઇસ્લામાબાદમાં સૂચિત કૃષ્ણ મંદિર અને સ્મશાન ભૂમિની બાઉન્ડ્રી વોલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મંદિર ઇસ્લામાબાદના સેક્ટર H-9-2માં બની રહ્યું છે. જો કે, મંદિર ઘણા વિવાદોમાં પણ ફસાયેલ છે.

ઇસ્કોનના પણ મંદિરો

પાકિસ્તાનમાં ઇસ્કોનના પણ ઘણા મંદિરો છે, જે કરાચી, લરકાના, સિંધ, હૈદરાબાદમાં છે. હવે ઇસ્કોન બહાવલપુર, પાંડબ, મીરવાહ, ક્વેટા, બલૂચિસ્તાનમાં પણ મંદિર બનાવી રહ્યું છે. 

પાકિસ્તાનમાં પણ જન્માષ્ટમીની ઝાકમઝોળ, મંદિરોની સંખ્યા ઘટી હોવા છતાં અનેરો માહોલ 2 - image


Google NewsGoogle News