બ્રિટનના કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનો ઘટસ્ફોટ, બકિંઘમ પેલેસે નિવેદન જાહેર કરી આપી માહિતી
King Charles Diagnosed With Cancer | બ્રિટનના કિંગ ચાર્લ્સ (III) કેન્સરથી પીડિત હોવાની જાણકારી મળી છે. હાલ તેમની સારવાર શરૂ થઈ ચૂકી છે. બકિંઘમ પેલેસે આ માહિતી આપી હતી. લંડનમાં બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે.
બકિંઘમ પેલેસે નિવેદન જાહેર કર્યું
બકિંઘમ પેલેસના એક નિવેદનમાં 75 વર્ષીય ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ તેમની સારવાર અંગે સંપૂર્ણ રીતે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને જાહેર જીવનમાં પાછા ફરશે. બકિંઘમ પેલેસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, " કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટના વિસ્તરણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તપાસ બાદ કેન્સરના એક સ્વરૂપની ઓળખ કરાઈ હતી. હાલમાં તેમની નિયમિત સારવાર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ડોકટરોએ તેમને જાહેર કાર્યક્રમોથી અંતર જાળવવાની સલાહ આપી હતી."
સાત દાયકા બાદ રાજા બન્યાં
સાત દાયકાથી વધુ સમયની રાહ જોયા બાદ ચાર્લ્સ બ્રિટનના રાજા બન્યા છે અને તેમના શાસનના 18 મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમને કેન્સર હોવાની જાણકારી મળી છે. બકિંઘમ પેલેસે જાહેરાત કરી હતી કે 75 વર્ષીય કિંગ ચાર્લ્સ સારવારને કારણે અસ્થાયી રૂપે જાહેર કાર્યક્રમોમાં હાજરી નહીં આપી શકે અને તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી શક્ય તેટલી વહેલી તકે જાહેર કાર્યક્રમોમાં પાછા ફરશે.