ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે વધુ એક ભારતીયની ધરપકડ, કેનેડા પોલીસે કાવતરાંખોર ગણાવ્યો

Updated: May 12th, 2024


Google NewsGoogle News
ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે વધુ એક ભારતીયની ધરપકડ, કેનેડા પોલીસે કાવતરાંખોર ગણાવ્યો 1 - image


India Canada news | કેનેડા પોલીસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ચોથા ભારતીયની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે હત્યા કેસમાં ધરપકડ કરાયેલો ચોથો આરોપી પહેલાથી જ હથિયારોની દાણચોરી મામલે પોલીસ કસ્ટડીમાં હતો. તેના પર હવે નિજ્જરની હત્યા અને કાવતરું ઘડવાના નવા આરોપો મૂકવામાં આવ્યા છે. આ પહેલા કેનેડા પોલીસે વધુ ત્રણ ભારતીયોની પણ ધરપકડ કરી હતી.

કેનેડિયન પોલીસે ઓળખ જાહેર કરી 

કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (આઈએચઆઈટી) એ જણાવ્યું હતું કે તેઓએ અમનદીપ સિંહ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરાનો આરોપ મૂક્યો છે. અગાઉ કેનેડા પોલીસે આ મામલે કરણ બ્રાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી લીધી હતી.

નિજ્જરની હત્યાનાં કાવતરાંનો આરોપ 

IHITએ જણાવ્યું હતું કે બ્રામ્પટન, સરે અને એબોટ્સફોર્ડમાં રહેતો 22 વર્ષીય ભારતીય વ્યક્તિ અમનદીપ સિંહ ઓન્ટારિયોમાં પહેલેથી જ પોલીસ કસ્ટડીમાં હતો. હવે તેના પર નિજ્જરની હત્યાના કાવતરામાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અન્ય ત્રણ આરોપીઓની જેમ અમનદીપ પર પણ ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ગંભીર આરોપો છે.

નિજ્જર ભારતમાં વોન્ટેડ આતંકીઓમાં સામેલ હતો 

ઉલ્લેખનીય છે કે કેનેડાના સરેમાં એક ગુરુદ્વારા બહાર હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓના 40 નામોની યાદીમાં સામેલ હતો. જેના આધારે કેનેડા સરકારે ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાની સરકાર દ્વારા નિજ્જરની હત્યા અંગેના આરોપોને પગલે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ ખટાશ આવી ગઇ છે. 

ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે વધુ એક ભારતીયની ધરપકડ, કેનેડા પોલીસે કાવતરાંખોર ગણાવ્યો 2 - image


Google NewsGoogle News