'આઉટ ઓફ સિલેબસ નીતિઓ લાવવી પડશે...' ટ્રમ્પ સાથે તાલમેલ બેસાડવા જયશંકરનો ઉપાય
S Jaishankar News | અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જ્યારથી શપથ લીધા છે ત્યારથી તે તાબડતોબ નિર્ણયો લઈ રહ્યા છે. આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ડીલ કરવા માટે દેશની વિદેશ નીતિઓમાં ફેરફાર કરવાનું આહ્વાન કર્યું છે.
જયશંકર શું બોલ્યાં જુઓ...
દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાં એક ઈન્ટરેક્ટિવ સેશન દરમિયાન જ્યારે જયશંકરને પૂછવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળથી ભારતને શું ફેર પડશે? તેના જવાબમાં જયશંકરે કહ્યું કે ટ્રમ્પના આગમનથી ઘણુ બધું બદલાશે. બની શકે કે અમુક મુદ્દા એકદમ અલગ હોય પણ આપણે દેશહિતને પ્રાધાન્ય આપતાં આપણી વિદેશ નીતિઓ બદલવી પડશે.
રાજકારણમાં એન્ટ્રી વિશે શું બોલ્યાં...
તેમણે કહ્યું કે અમુક એવા મુદ્દા પણ હશે જેની સાથે આપણે અસમંત હોઈશું પણ એવા ઘણા ક્ષેત્રો હશે જ્યાં આપણે એક જ મંચ પર રહીશું અને સહમત પણ થઇશું. આ દરમિયાન જયશંકરે શિક્ષણ ક્ષેત્ર અને કૂટનીતિ દ્વારા રાજકારણમાં પ્રવેશવા અંગે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું પણ નૌકરશાહ બનીશ. હું રાજકારણમાં અચાનક આવ્યો અને કાં તો આને ભાગ્ય જ કહું. કેમ કે મોદીએ મને એ રીતે આગળ વધાર્યા કે હું ના પણ ના પાડી શક્યો.
હાલમાં જ ટ્રમ્પના શપથમાં જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિદેશમંત્રી એસ.જયશંકર ટ્રમ્પના શપથ સમારોહમાં સામેલ થવા અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીનો લખેલો એક પત્ર ટ્રમ્પને સોંપ્યો હતો.