ઈટાલીના વેનિસમાં બસ પુલ નીચે પટકાતાં આગની લપેટમાં આવી, 21 વિદેશી પર્યટકોનાં મોતથી હાહાકાર
પીએમ જ્યોર્જિયા મેલોનીએ આ મામલે સંવેદના વ્યક્ત કરી
આ દુર્ઘટનામાં આશરે 18 લોકો ગંભીર રીતે ઘવાયા, મૃતકાંક વધી શકે
image : Twitter |
ઈટાલીના વેનિસ (2023 Venice bus crash) શહેરમાં મંગળવારે એક બસ પુલથી નીચે પટકાતાં તેમાં આગ લાગી ગઇ હતી. મેસ્ત્રેમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં બે બાળકો સહિત 21 વિદેશી પર્યટકોના દર્દનાક મોતના અહેવાલથી સનસનાટી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં આશરે 18 લોકો ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ડ્રાઈવરે બસ પર ગુમાવ્યો હતો કાબુ
માહિતી અનુસાર બસ પર્ટકોને કેમ્પિંગ ગ્રાઉન્ડ લઈ જઈ રહી હતી. ત્યારે પુલની ઉપરથી પસાર થતી વખતે જ આ બસ અનિયંત્રિત થઇને નીચે પટકાઈ હતી. બસમાં સવાર લોકો કંઇ સમજી શકે તે પહેલાં ત્યાં સુધી તો તેમાં આગ લાગી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા 21 લોકો મૃત્યુ પામી ગયા. સૂચના મળતાં જ ઘટનાસ્થળે પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યો હતો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. જ્યારે બસમાં આગને ઓલવીને શબોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મૃતકોમાં ક્યા ક્યા દેશોના નાગરિકો સામેલ?
વેનિસના મેયર લુઈગી બ્રુગનારોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે બસ વેનિસની નજીક માર્ઘેરા જઈ રહી હતી. આ ઘટનાને ત્રાસદી જાહેર કરાઈ હતી. બસ ચાલકની ઓળખ 40 વર્ષીય અલ્બર્ટો રિજોટો તરીકે થઇ હતી. તેને 7 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હતો. મૃતકોમાં યુક્રેની પર્યટકો પણ સામેલ છે. જ્યારે જર્મની અને ફ્રાન્સના નાગરિકો પણ હોવાની માહિતી મળી રહી છે.
પીએમ મેલોનીએ સંવેદના વ્યક્ત કરી
રેસ્ક્યૂ ઓપરેશન સાંજે શરૂ કરાયું હતું અને લગભગ સવારે પૂરું થયું હતું. દેશના વડાપ્રધાન મેલોનીએ (Giorgia Meloni) પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું કે હું મેસ્ત્રેમાં સર્જાયેલી દુર્ઘટના માટે મારી વ્યક્તિગત અને સરકાર તરફથી ગાઢ સંવેદના વ્યક્ત કરું છું. અમારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવાર તથા મિત્રો સાથે છે.