'ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપન રોકવું જોઈએ': યુદ્ધ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ ભડક્યા
Image Source: Twitter
- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો
નવી દિલ્હી, તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર
Israel Palestine Attack: તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ-હમાસના ચાલુ યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યુ છે. એર્દોગને આજે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને પગલપન ગણાવ્યું છે. આ સાથે જ તેમણે ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની અપીલ કરી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. હાલમાં ઈઝરાયેલી સેનાએ પેલેસ્ટાઈન ક્ષેત્રો પર હુમલા વધારી દીધા છે.
ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપનને રોકવું જોઈએ
તુર્કીના રાષ્ટ્રપતિએ X પર કહ્યું કે, ગાઝા પર ઈઝરાયેલી બોમ્બમારો કાલ રાત્રેથી તેજ થઈ ગયો છે. ફરી એક વખત મહિલાઓ, બાળકો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલે ચાલી રહેલા માનવીય સંકટને વધુ ખરાબ કરી નાખ્યો છે. એર્દોગને પોતાની પોસ્ટમાં કહ્યું કે, ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપનને રોકવું જોઈએ અને પોતાના હુમલા સમાપ્ત કરવા જોઈએ.
ઈઝરાયેલી હુમલામાં 7,300 લોકોના થઈ ચૂક્યા છે મોત
હમાસના લડવૈયાઓએ ગત 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઈઝરાયેલી નાગરિકો ઘાયલ થયા હતા. હમાસે ઈઝરાયેલી ક્ષેત્ર પર હુમલો કરીને 229 લોકોને બંધક બનાવી લીધા હતા. ત્યારે ઈઝરાયેલ હવાઈ હુમલા બાદ હવે જમીની આક્રમણની તૈયારી કરી રહ્યું છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈઝારાયેલી હુમલામાં 7,300થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં 3,000 બાળકો પણ સામેલ છે.