PM નેતાન્યાહુનું દેશને સંબોધન, હમાસ હુમલાને લઈ આપ્યા ભયાનક સંકેત, કહ્યું ‘આ તો માત્ર શરૂઆત છે’
બેન્જામિન નેતાન્યાહુ હમાસને સંપૂર્ણ ખતમ કરવાની કસમ ખાધી
ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો સતત હવાઈ હુમલો
જેરુસલેમ, તા.14 ઓક્ટોબર-2023, શનિવાર
ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War)નું યુદ્ધ આક્રમક બનતું જઈ રહ્યું છે. યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ (PM Benjamin Netanyahu) દેશને સંબોધન કરી ભયાનક સંકેત આપ્યા છે. હમાસના આતંકવાદીઓએ ગત શનિવારે 7મી ઓક્ટોબરે હુમલા શરૂ કર્યા હતા, જેના જવાબમાં ઈઝરાયેલે પણ આક્રમક જવાબ આપી રહ્યું છે, ત્યારે આ હુમલા વચ્ચે પીએમ નેનાન્યાહુએ દેશના નાગરિકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હમાસને સંપૂર્ણ ખતમ કરવાની કસમ ખાધી છે. તેમણે કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે, અમે હમાસને સંપૂર્ણ ખતમ કરી નાખીશું.
ઈઝરાયેલને આંતરરાષ્ટ્રીય સમર્થન : નેતાન્યાહુ
પીએમ નેતન્યાહુએ વધુમાં કહ્યું કે, હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને અમે મજબુતી સાથે ખતમ કરીશું. તેમણે કહ્યું કે, અમે હમાસને નષ્ટ કરી દઈશું. ઈઝરાયેલને આ અભિયાન માટે મોટા સ્તરે આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મળેલું છે.
ઈઝરાયેલે ઉત્તર ગાઝા ખાલી કરવાનો આપ્યો આદેશ
ઉલ્લેખનિય છે કે, ગત શનિવારે હમાસે અચાનક ઈઝરાયેલ પર ભીષણ હુમલો કરવાનું શરૂ કર્યું, જેમાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના 1300થી વધુ લોકોના મોત થયા. જ્યારે હમાસના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પર જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝાના અડધી વસ્તીને પોતાના ઘરો ખાલી કરવા અને સુરક્ષિત સ્થાને જવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલે કહ્યું કે, ઉત્તરી ગાઝામાં રહેનારા લગભગ 11 લાખ લોકો દક્ષિણી ગાઝા તરફ જતા રહે.
અત્યાર સુધીમાં શું થયું ?
હમાસના હુમલા બાદ ઈઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયેલ ગીચ વસ્તી ધરાવતા ગાઝા પર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 1900 લોકોના મોત થયા છે, જેમાં 600થી વધુ બાળકો પણ સામેલ છે.