Israel-Hamas War| હમાસ લાચાર! બંધકોને મુક્ત કરવા તૈયાર, ઈઝરાયલ સામે મૂકી આ શરત
હમાસના નેતા યાહ્યા સિનવારે કહ્યું - પહેલાં ઈઝરાયલ અમારા પેલેસ્ટિની કેદીઓને મુક્ત કરે પછી...
યાહ્યા સિનવારને 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે
Israel vs Hamas War | ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે સંઘર્ષની સ્થિતિ હજુ યથાવત્ છે. ઇઝરાયેલી સેના (IDF) દ્વારા ભારે બોમ્બમારો અને જમીની કાર્યવાહીને (Israel Ground Operation) કારણે હમાસના ઘણા ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે અને ગાઝા-પેલેસ્ટાઈનમાં ચારેકોર વિનાશક દૃશ્યો સર્જાયા છે. દરમિયાન, ગાઝા પટ્ટીમાં હમાસના નેતા યાહ્યા સિનવારે કહ્યું હતું કે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ ઇઝરાયેલ સાથે તાત્કાલિક બંધકોની અદલાબદલી કરવા તૈયાર છે.
હમાસના નેતાએ મૂકી આ શરત
સિનવારે એક નિવેદનમાં કહ્યું કે અમે તાત્કાલિક ધોરણે કેદીઓની અદલાબદલી માટે સોદો કરવા તૈયાર છીએ. અમારી શરત એ છે કે ઈઝરાયેલની જેલમાં બંધ તમામ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવામાં આવે, જેમને પેલેસ્ટાઈનની આઝાદીના સમર્થનમાં દેખાવો કરવાને કારણે બંધક બનાવી લેવાયા હતા.
ઈઝરાયલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ મનાય છે સિનવાર
યાહ્યા સિનવારને (Yahya Sinwar) 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તે ઈઝરાયલી દળોની હિટ લિસ્ટમાં સામેલ છે. અગાઉ શનિવારે હમાસની સશસ્ત્ર પાંખે કહ્યું હતું કે જો ઇઝરાયેલ તેની જેલમાં બંધ તમામ પેલેસ્ટિનીઓને મુક્ત કરે તો તે બંધકોને છોડવા માટે તૈયાર છે. ઈઝરાયેલની સેના અનુસાર હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાં લગભગ 229 લોકોને બંધક બનાવ્યા છે. હમાસે દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલના બોમ્બમારાઓમાં લગભગ 50 બંધકો માર્યા ગયા છે.