અમારા નાગરિકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ગાઝામાં વીજળી-પાણીનો સપ્લાય શરુ નહીં થાયઃ ઈઝરાયેલના ઉર્જા મંત્રી
image : Twitter
તેલ અવીવ,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો જંગ વધારે ઉગ્ર સ્વરુપ ધારણ કરી રહ્યો છે.
શનિવારથી શરુ થયેલા ઈઝરાયેલના વળતા હુમલામાં ગાઝાની હાલત કફોડી બની રહી છે. અહીંયા વીજળી સપ્લાય તો ઠપ થઈ ગયો છે અને હવે પાણીનુ સંકટ લોકો પર મંડરાઈ રહ્યુ છે. ઈઝરાયેલનુ સ્પષ્ટ પણે કહેવુ છે કે, પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.
ઈઝરાયેલના ઉર્જા મંત્રીએ ગુરુવારે કહ્યુ હતુ કે, જ્યાં સુધી હમાસના આતંકીઓ ઈઝરાયેલના નાગરિકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં વીજળી પાણી અને ફ્યૂલનો સપ્લા શરુ કરવામાં નહીં આવે. ઈઝરાયેલના લોકોની ઘર વાપસી નહીં થાય ત્યાં સુધી ગાઝાને ઈલેક્ટ્રિસિટી પૂરી પાડવા માટેની સ્વિચ ઓન નહીં થાય. પાણીની પાઈપનો વાલ્વ ખોલવામાં નહીં આવે અને ફ્યૂલ ભરેલી કોઈ પણ ટ્રક ગાઝામાં નહીં પ્રવેશે. અમને માનવતાવાદ અને નૈતિકતાનો ઉપદેશ કોઈએ આપવાની જરુર નથી.
હમાસના આતંકીઓએ ગત શનિવારે ગાઝા પર હુમલો કરીને હત્યાકાંડ આચર્યો હતો અને એવુ મનાય છે કે, 150 ઈઝરાયેલી નાગરિકોને તેઓ બંધક બનાવીને ગાઝામાં લઈ ગયા છે.
હવે ઈઝરાયેલ તેમને છોડાવવા માટે વીજળી પાણીનો સપ્લાય બંધ કરીને હમાસ પર દબાણ કરી રહ્યુ છે. ગાઝામાં વીજળીના અભાવે હોસ્પિટલો પણ મડદાઘરમાં ફેરવાઈ જાય તેવી સ્થિતિ છે. વીજળીના અભાવે હોસ્પિટલમાં દાખલ અને ઓક્સિજન પર હોય તેવા દર્દીઓ, નવજાત બાળકો , કિડનીના દર્દીઓ દમ તોડી દે તેવી સંભાવના છે.