Israel-Hamas War : નવાઝ શરીફના જમાઈએ ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓક્યુ
Image Source: Twitter
- કેપ્ટન સફદરે મુસ્લિમોને ગઝવા-એ-હિન્દ માટે તૈયાર રહેવા કહ્યું
- કેપ્ટન સફદરે ભારત અને ઈઝરાયેલને પરમાણુ બોમ્બની ધમકી આપી
પેશાવર, તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા કેપ્ટન સફદરે એક રેલીને સંબોધિત કરતા ખુલ્લેઆમ ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે અને મુસ્લિમોને ગઝવા-એ-હિન્દ માટે તૈયાર રહેવા માટે જણાવ્યું હતું. આ સાથે જ સફદરે ઈઝરાયેલને પરમાણુ બોમ્બની ધમકી પણ આપી છે.
કેપ્ટન સફદરે પેશાવરમાં આયોજિત પેલેસ્ટાઈન સમર્થક રેલીમાં આ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યુ હતું. પોતાના સંબોધન દરમિયાન સફદરે કહ્યું કે, જો મુસલમાનો જિહાદ ન કરે તો અપમાન તેમની રાહ જુએ છે. જો મુસલમાનો જિહાદ માટે તૈયાર ન રહ્યા તો પછી તેમણે અપમાનનો સામનો કરવો પડશે. તેમણે આગળ કહ્યું કે, મુસલમાનો જિહાદ માટે તૈયાર રહો. ગઝવા-એ-હિન્દ માટે તૈયાર રહો.
ઈઝરાયેલને પરમાણુની ધમકી
સફદરે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનના પરમાણુ બોમ્બ તમામ મુસલમાનોના છે. આ દરમિયાન તેમણે કાશ્મીર અને પેલેસ્ટાઈનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, પેલેસ્ટાઈનમાં મુસ્લિમો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. ગાઝામાં બોળકો અને મહિલાઓની હત્યા કરવામાં આવી રહી છે. તેમણે નવાઝ શરીફના નિવેદનનો હવાલો આપ્યો જેમાં તેમણે કાશ્મીરને લઈને પરમાણુ ધમકી આપી હતી. સફદરે ભીડને આગળ કહ્યું કે, જિહાદ માટે તૈયાર થઈ જાઓ. આજે પેલેસ્ટાઈનના લોકો તમારી તરફ જોઈ રહ્યા છે. ગાઝાના મુસ્લિમોને જણાવો કે, અમે તમારી સાથે છીએ.
કેપ્ટન સફદરે જે રેલીને સંબોધિત કરતા ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કર્યું છે તે રેલીનું આયોજન પાકિસ્તાની કટ્ટરપંથી પાર્ટી જમિયત-એ-ઉલેમા ઈસ્લામ દ્વારા ગાઝા પર ઈઝરાયેલના હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફરી રહ્યા છે ત્યારે આ પહેલા તેમની પાર્ટી PML-Nએ તેમના સ્વાગત માટે રેલીઓ શરૂ કરી દીધી છે.